આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 


આ ઉપરાંત બીજી સમજ પાડવામાં આવ્યા પછી નીચલો ઠરાવ પરિષદ આગળ રજૂ થયો :

સત્યાગ્રહનો ઠરાવ

બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો છે તે અયોગ્ય, અન્યાયી અને જુલમી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કંઈ ઉપાયો લે તેથી પડતાં સઘળાં કષ્ટો શાંતિથી સહન કરવાં.

જો વધારાવિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ બિનતકરારે તુરત ભરી દેવું.

આ ઠરાવ રજૂ કરનારા અને તેને ટેકો આપનારા ૧૨ ગામોના સારા સારા પ્રતિષ્ઠિત ખેડૂતો હતા. એમાં અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ બધી કોમોના માણસો આવી જતા હતા. બેત્રણ જણાએ ટૂંકાંટચ ભાષણો કર્યાં અને બાકીનાએ ઉભા થઈને ટેકો જાહેર કર્યો.

આ ગંભીર ઠરાવ ખુદાના પાક નામ વિના અને રામધૂન વિના પસાર ન થાય. એટલે ઈમામસાહેબે કુરાનેશરીફમાંથી આયત સંભળાવી, અને નીચેનું કબીરનું સંગ્રામગીત આખી પરિષદ ઝીલે એવી રીતે સંભળાવવામાં આવ્યું અને રામધૂન ચાલી :

શૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ,
દેખ ભાગે સોઉ શૂર નાહીંં — શૂર૦
કામ ઔર ક્રોધ મદ લોભસે ઝૂઝના,
મંડા ઘમસાણ તંહ ખેત માંહી — શૂર૦
શીલ ઔર શૌચ સંતોષ સાથી ભયે,
નામ શમરોર તંહ ખૂબ બાજે,
કહત કબીર કોઉ ઝુઝિ હૈ શૂરમા,
કાયરાં ભેઢ તંહ તુરત ભાજે — શૂર

૪૩