આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


આવ્યો છે. તમે હિંદુસ્તાનને સ્વરાજ અપાવવા નીકળ્યા હતા, તે હવે તમારા ઘરની લડત માટે શું કરો છે તેની પરીક્ષા થશે. આમાં પાછા પડીએ તો ઇજ્જતઆબરૂ જશે, ને હિંદુસ્તાન આખાને ભારે નુકસાન થશે.

આજે જ પરિષદ પૂરી કરીને તરત હું અહીં તમારી પાસે આવ્યો છું, કારણ હવે તાલુકાના જેટલાં ભાઈબહેનો મળે તેટલાંને મારો સંદેશો આપવા માગું છું કે હવે સૌ ચેતતાં રહેજો, હવે પૂરેપૂરાં જાગૃત રહેજો, ગાફેલ ન રહેશો. સરકાર એક ઉપાય બાકી નહિ રાખે, તમારામાં ફાટફૂટ પાડશે, કજિયા કરાવશે, કંઈ કંઈ ફેલ કરસે, પણ તમે તમારા બધા અંગત ને ગામના કજિયાને હમણાં લડત ચાલતાં સુધી કૂવામાં નાંખજો, લડત પૂરી થાય ત્યાં સુધી એવી એકેએક વાત ભૂલી જજો; પાછળથી બધું યાદ કરીને જોઈએ તો લડી લેજો. જોઈએ તો તેવી રીતે પાછળથી લડવાના તમારા નિશ્ચયના દસ્તાવેજો કરીને પેટીપટારામાં સાચવી મૂકજો ! પણ અત્યારે તો બાપદાદાનાં વેર પણ ભૂલી જજો. જિંદગી સુધી જેની સાથે ન બોલ્યા હો ને અબોલા પાળ્યા હોય, તેની સાથે પણ આજે બોલજો; આજે ગુજરાતની ઇજ્જત તમે તમારા હાથમાં લીધી છે તે સંભાળજો. અને આપણે હાથેથી એક દમડી સરકારને નથી આપવી એ નિશ્ચયમાં કાયમ રહેજો; નહિ તો જીવ્યું ન જીવ્યું થઈ જશે, અને તાલુકો કાયમના બોજામાં પડશે. કેટલાકને જમીન ખાલસા થવાનો બાઉ છે. ખાલસા એટલે શું ? શું તમારી જમીને ઉખાડીને સુરત કે વિલાયત લઈ જશે ? જમીન ખાલસા કરે કે ચાહે તે કરે, ફેરફાર થાય તે સરકારના દફ્તરનાં પાનાંમાં થાય, પણ તમારામાં સંપ હોય તો તમારી જમીનમાં બીજો કોઈ આવીને હળ ન નાંખે એમ કરવું એ તો તાલુકાનું કામ છે. પછી સરકારી દફ્તરે ભલે ખાલસા થાય. ખાલસાની બીક છોડી દો. જે દિવસે તમારી જમીનો ખાલસા કરાવવા તમે તૈયાર થશો તે દિવસે તો તમારી પાછળ આખું ગુજરાત ઊભું છે એમ ખચીત માનજો. ખાલસાની બીક હોય, એવી નામર્દાઈ હોય તો લડત લડાય જ નહિ. તમારા એક જ ગામમાં પાકો બંદોબસ્ત કરશો, તો પણ આખા તાલુકાને મક્કમ કરી શકશો, આખા પરગણાને જગૃત કરશો.

લડતનું મંડાણ મંડાઈ ચૂક્યું છે. હવે ગામેગામ મોટી લશ્કરી છાવણીઓ છે એમ માનો. ગામેગામની હકીકત રોજ તાલુકાના મથકે પહોંચવી જોઈએ, અને મથકના હુકમો ગામેગામ પહોંચવા અને અમલમાં મુકાવા જઈએ. આપણી તાલીમ એ જ આપણી જીતની કૂંચી છે. સરકારનો માણસ ગામેગામ એકાદ તલાટી કે મુખી હોય છે, આપણી પાસે તો આખું ગામ છે.”