આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


શ્રી. એમ. એસ. જયકર દશ મહિના સુધી આ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ખેતરો ઉપર જઈ ખેડૂતો સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે.” આ ઉપરાંત જણાવ્યું કે ગણોતના આંકડા ઉપર આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં પહેલીવાર આધાર રાખવામાં આવ્યો છે એ કથન પાયાવિનાનું છે. સરકારે સેટલમેંટ ઑફિસર અને સેટલમેંટ કમિશનરે સૂચવેલા દરોમાં ખૂબ ઘટાડો કરી નાંખ્યો છે, અને “હવે નવી આકારણી પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની વિશેષ રાહત આપવા તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખામણને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો લૅન્ડ રેવન્યુ કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગર્વનર અને તેની કાઉંસિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરવું પડશે તેને માટે સરકાર જવાબદાર નહિ રહે.” આ કાગળની કેટલીક વિચિત્ર વાતોનો જવાબ શ્રી. વલ્લભભાઈ આપ્યા વિના ન રહી શક્યા. તા. ૨૧ મીએ તેમણે ઉપરના પત્રનો જવાબ આપ્યો, તેમાં ગણોતના આંકડાનો આધાર પહેલીવાર રાખવામાં આવ્યો છે એ પોતાના કથનના આધારમાં અનેક અમલદારોનાં કથન ટાંક્યાં, ૨૨ ટકા વધારો કયા આધારે ઠરાવવામાં આવ્યો એ સરકાર પાસે જાણવા માગ્યું, અને સરકારે આપેલી ધમકી માટે આભાર માનીને તેમને જણાવ્યું : “તમે મને અને મારા સાથીઓને ‘બહારના’ ગણતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છે તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લોકો ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જોકે હું મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીનો પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાશીઓના

૫૨