આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


વધારો ન ભરવાની છૂટ જાહેર થઈ હતી. ભોળા ખેડૂતો આ કનસેશનને શું સમજે ? એ ખેડૂતોને આવી લાલચમાં ન ફસાવવાનો ઉપદેશ આપતાં રવિશંકરભાઈએ વાલોડની એક સભામાં પોતાની રમૂજી ભાષામાં આ પ્રમાણે સમજ આપી હતી :

“એ સરકારના કાયદા આપણે ન સમજીએ. આપણો તો સત અને ધર્મનો કાયદો. સતને પંથે ચાલીએ અને અનીતિ અને અન્યાયની સામા થઈએ. કાયદા સરકારી અમલદારો માટે; તે તેને સમજે અને અમલ કરે. અક રાક્ષસે કાયદો કર્યો હતો કે મારે રોજ આટલા મણ આહાર જોઈએ. આટલાં બકરાં, આટલાં ઘેટાં, આટલાં માણસો જોઈએ. એ બક રાક્ષસનો કાયદો હતો. એ તેને માટે હતો. એ જુલમી કાયદાને જે વશ થતા હતા તેમને માટે હતો. ભીમને માટે એ કાયદો થોડો જ હતો ?”

લોકો પણ સરકારથી ઝટ ભોળવાય એમ નહોતું. બારડોલીના થાણામાં અનેક જણ કંઈક નહિ તો કંઈક સલાહ માટે આવ્યા જ હોય. ‘મારી જમીન ખેતીની નથી. મેં તો મકાન બાંધવા થોડી જમીન સરકાર પાસે ભાડે લીધી હતી. એનું એક રૂપિયો ત્રણ આના ભાડું છે એ ભરાય ?’ એમ પૂછતો એક ભાઈ આવે છે. તો બીજો પૂછે છે : ‘મારી વાવલાતી જમીન છે. ફલાણો કહે છે કે એનું ભરાય. મને લાગે છે ન ભરાય. એની સલાહ આપશો ?’ ત્રીજો એક માતબર પટેલ આવીને કહે : ‘આ જમીનનાં કાગળિયાં જુઓ. હાઈકોર્ટમાં એને માટે ત્રણ વર્ષ લડ્યો અને જમીન મેળવેલી છે. એનું ભરવું જોઈએ ?’ આવાને વલ્લભભાઈ સલાહ આપે છે, સાંત્વન આપે છે, ધીરજ અને હિંમત આપે છે. લોકો એકબીજાને પણ હિંમત આપી રહ્યા છે. બાજીપરાના એક મક્કમ ખેડૂત કહે : ‘જમીન ખાલસા થશે ખાલસા, શું કરશો ? આ શરીર એક દહાડો ખાલસા થઈ જવાનું ને ! આ લડત તો આપણા સવારથની છે. વલ્લભભાઈને શો સવારથ છે ? ગાંધી ડોસા તો અઘરી લડત લડાવતા હતા. તે તો સ્વરાજ લેવા માટે લડવાનું કહેતા હતા. તે આપણને અઘરું પડતું. આ વેળા આપણે સમજીએ તો સહેલી બાજી છે. વલ્લભભાઈનું નાક ન કાપશો.’

૬૨