આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કોઈ ગામના વાણિયાએ પૈસા ભરી દીધા એમ સાંભળ્યાથી લોકોના ઉપર કશી માઠી અસર થતી નથી. સ્વયંસેવકો પ્રતિજ્ઞાપત્રો ઉપર સહી કરાવવા ફરી રહ્યા છે, અને દરરોજ નવાનવાં ગામ જોડાયાની ખબર આવ્યે જાય છે. આ પ્રતિજ્ઞાપત્ર ઉપર સહેલાઈથી સહીઓ થતી નહોતી એ અહીં જણાવવું જોઈએ. પહેલી માર્ચ સુધી બેત્રણ ગામો એવાં રહ્યાં હતાં કે જે આગ્રહપૂર્વક સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરતાં નહોતાં, તેમજ પૈસા પણ ભરતાં નહોતાં. નાના જમીનદારો તો માગી માગીને સહીઓ કરે, મોટાઓ ડરતા ફરે.

શ્રી. વલ્લભભાઈનાં ભાષણોનો રસ હવે લોકોને લાગવા માંડ્યો હતો. ખેડૂતોની બુદ્ધિ અને હૈયામાં સોંસરી પેસી જાય એવી તળપદી ભાષામાં તેઓ તેમને પ્રેરવા લાગ્યા. એક ગામે તેઓ કહે :

“હું તાલુકાનાં ગામો ફરતો જાઉં છું તેમ જોતો જોઉં છું કે આ પંદર દિવસમાં લડતનું રૂપ સમજાતાં લોકોની ભડક ભાંગી ગઈ છે. હજી બે આની ચાર આની રહી હોય તો તે કાઢી નાંખજો, ને ડર કૂવામાં ફેંકી દેજો. ડરવાનું તમારે નથી, સરકારને છે. કોઈ સુધરેલી સરકાર પ્રજાની સંમતિ સિવાય રાજ કરી શકે નહિ. અત્યારે તો તે તમારી આંખે પાટા બાંધી રાજ કરવા માગે છે. સરકાર કહે છે : તમે સુખી છો. મને તો તમારા ઘરમાં નજર નાંખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો. તમને તકરારટંટો આવડતાં નથી, એ ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણું છે. આ તાલુકામાં રાતના બાર એકેક વાગે હું ફરું છું, પણ મને કોઈ ‘કોણ’ કરીને પૂછતું નથી ! રવિશંકર કહે છે : આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ કરડતું નથી, કે કોઈ ભેંશ શિંગડું મારતી નથી ! તમારી શાહુકારી જ તમને નડી છે, માટે આંખમાં ખુમારી આવવા દ્યો ને ન્યાયને ખાતર ને અન્યાયની સામે લડતાં શીખો.’

આ પ્રથમના દિવસોનાં બધાં ભાષણોને ‘ખુમારીના પાઠ’ તરીકે વર્ણવી શકાય. તાલુકાની સુંવાળી કોમને લડતને માટે તૈયાર કરવાની હતી. લડતને માટે તૈયાર કર્યા પછી, તેમનું નવું પ્રગટેલું જોમ અવળે માર્ગે ન ચડી જાય એ જોવાનું હતું.

૬૪