આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


માગણી જ થાય. આબાલવૃદ્ધ સૌને એ ભજનોની ધૂન ગમી ગઈ અને ચૌટે અને ચકલે, ખેતરોમાં અને શેરીમાં બાળકો અને બાળાઓ એ ધૂન લલકારવા લાગ્યાં :

અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે
ભલે કાયાના કટકા થાય — અમે૦

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે — ડંકો૦

માથું મેલો સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે, સાચી ટેકને રે — માથું૦

ધીમેધીમે અળગા રહેલાઓ સૌ પાસે આવતા જતા હતા. સરભોણ એ પોતાને કેળવાયેલા અને મુત્સદ્દી માનનારા અનાવલાઓનો કિલ્લો. એ હજી જોડાયા નહોતા. શ્રી. વલ્લભભાઈના ભાષણને પરિણામે ત્યાં ચમત્કારિક અસર થઈ. પહેલા બધા નાના ખાતેદારો આવ્યા અને એક પછી એક સહીઓ કરી ગયા, મોટાઓ જે થોડો વખત રાહ જોવામાં ડહાપણ સમજતા હતા તેઓ પાછળ પાછળ આવ્યા અને તેમણે પણ સહી આપી. આખરે રહી ગયા માત્ર એક બે પેન્શનરો — જેઓ પણ આખર સુધી તાલુકા સાથે જ રહ્યા એમ આગળ ઉપર જોશું.

મુસલમાન વર્ગમાંના કેટલાક પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવામાં ધર્મનો વાંધો કાઢતા હતા. બાર વર્ષની ઉમરથી એક પણ રોજો ચૂક્યા નહોતા એવા પાક મુસલમાન ઇમામસાહેબ બારડોલીમાં રોજા કરતા બેઠા, રોજા છતાં પણ વાલોડ સુધી જતા અને મસ્જિદમાં જઈને વાઝ આપી આવતા, એની કાંઈ જેવી તેવી અસર નહોતી થઈ. તેમની જ સમજૂતીથી વાલોડના મુસલમાન ભાઈઓએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી આપી.

સ્ત્રીઓ પણ હવે સભામાં ખૂબ ઉત્સાહથી ભાગ લેવા લાગી. આજ સુધી તેમને શૂર ચડાવનાર નેત્રીઓ હજી આવી નહોતી. હવે બહેન મીઠુબહેન, ભક્તિબહેન, ઘેલીબહેન, અને સૂરજબહેને એ કામ ઉપાડી લીધું. મીઠુબહેનની પાસે લડત ઉપરાંત ખાદીનો

૬૬