આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
લૂલા બચાવ


“ઍંડર્સન એ જ અમલદાર કે જેણે સરકારને ગધેડે બેસાડી હતી. ધારાસભામાં એને પાણીપતની વાત કરવાનું સૂઝ્યું. મેં કહ્યું, ‘કોઈનું રાજ રહ્યું નથી, તમારુંયે જશે તેમાં મારે શું ?’ ”

વાચકને યાદ હશે કે શ્રી. વલ્લભભાઈ પટેલે ગવર્નરને લખેલા પોતાના પહેલા જ પત્રમાં એકત્રીશ ગામોને વિષે થયેલા વિશેષ અન્યાયનો ઉલ્લેખ કર્યો હતો. આમાંનાં રર ગામના વર્ગો (ગ્રૂપો) ઉતારવાનું ધારાસભાની માર્ચ મહિનાની બેઠકમાં સરકારે જાહેર કર્યું. લોકોનું બળ જોઈને આ પગલું લેવામાં આવ્યું એમ કહેવામાં કંઈ હરકત નથી. આ જાહેરનામાને લીધે ત્રણ ગામો જેમનો વર્ગ ચઢ્યો હતો અને ૨૦ ટકા વધારો થયો હતો તેમનો વર્ગ ઊતરવાને લીધે એ વધારો રદ થયો, ત્રણ ગામો જ્યાં મહેસૂલનો વધારો ૪૫ થી ૫૦ ટકા કરવામાં આવ્યો હતો તે ઓછો થઈ ૧૮ / ટકા અને ૨૦ ટકા થયો, બે ગામનો વધારો ૫૮ ટકાને બદલે ૨૦ ટકા થયો, અને ૧૪ ગામ ૫૦ ટકાના વધારામાંથી ૨૫ ટકાના વધારામાં આવ્યાં. આમ એક ભૂલ સહેજ સુધારવામાં આવી, પણ તેથી કંઈ સરકારમાં ડહાપણનો ઉદય થયો હતો એમ નહિ કહી શકાય. સરકારે તો આ જાહેરનામું કાઢીને સાથે સાથે એમ પણ જાહેર કર્યું કે વર્ગ ઉતારવાની સાથે આકારનો વધારો થયો છે તેને કશો સંબંધ નથી, તે વધારાનું પ્રમાણ તો તેટલું જ રહેશે. બારડોલીના ખેડૂતોની લડત તો કશી તપાસ વિના કરવામાં આવેલા મહેસૂલવધારાની સામે હતી. આ જાહેરનામાંથી તો માત્ર ૨૨ ગામ જ્યાં વિશેષ અન્યાય થયો હતો તે બીજાં ગામોની સમાન કક્ષામાં મૂકવામાં આવ્યાં.

૭૧