આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ધારાસભાની આ બેઠકમાં ભાઈ નરીમાને બારડોલી તાલુકાના મહેસૂલવધારા સંબંધી સરકારના ઉપર તિરસ્કારનો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવ ઉપર બોલતાં સરકારે અખત્યાર કરેલી નીતિના બચાવમાં આ આખી લડતમાં સરકારને ભમાવનાર સેટલમેન્ટ કમિશનર મિ. ઍંડર્સને એક ભૂડું ભાષણ કર્યું. તેનો એક બચાવ એ હતો કે સરકારની ‘રેશનિંગ’ નીતિને પરિણામે દારૂની ખપત ઓછી થવાથી લોકોને બચત થઈ છે, તેટલા પૂરતું વધારે મહેસૂલ તેઓ સુખે આપી શકે. બીજી દલીલ ટાપટી વેલી રેલ્વેથી થયેલા મોટા લાભની કરવામાં આવી. “આ રેલ્વે પાછળ સરકારના આશરા તળે લાખો રૂપિયા રેડાયા છે, જેનું વળતર બારડોલીની જમીનના કેટલાંયે વર્ષના મહેસૂલ બરાબર થવા જાય.” રેલ્વે બાંધવામાં આવી તે કેવળ પારમાર્થિક હેતુથી જ એમ કહેવું એ કેટલું બેહૂદું છે ? રેલ્વેઓએ ભારતનો કસ કેટલો ચૂસી લીધો છે તે બાબતની ચર્ચા કરવાનું આ સ્થળ નથી. પણ એ વાત કોરે મૂકીએ તોપણ અજબ વાત તો એ છે કે આ રેલ્વેની દલીલ કરવામાં મિ. ઍંડર્સન તાલુકાનો આખો ઇતિહાસ જ ભૂલી ગયા. ૧૮૯૬ ની જમાબંધી વેળા તે વખતના અમલદાર મિ. ફરનાન્ડીઝે મહેસૂલના દરની ભલામણ કરતાં રેલ્વેથી થનારા લાભને ધ્યાનમાં લીધા હતા. એ અમલદારના શબ્દ તો ચોથા પ્રકરણમાં ટાંકી ચૂક્યો છું. પણ ખૂબી તો એ છે કે એ રેલ્વે થવાથી જે લાભની આશા રખાતી હશે તે લાભ પણ થયો છે કે નહિ એની શંકા છે. બારડોલી અને મઢી સિવાયનાં બીજાં કોઈ પણ સ્ટેશને માલ ચડાવવાનું તો કશું સાધન નથી, અને બારડોલીના સ્ટેશન છતાં લોકો નવસારીના બજારનો ઘણો મોટો ઉપયોગ કરે છે.

એક બીજી દલીલ મિ. ઍંડર્સનના પેલા ૪૨,૯૨૩ એકરના ગણોતે આપેલી જમીનના આંકડા જેવી જ પોકળ હતી. પણ આંકડાનો દુરૂપયોગ કેવી રીતે થાય છે, આંકડાને કેમ ઉલટાવવામાં આવે છે તે જણાવવા ખાતર તે અહીં આપવાની જરૂર લાગે છે. એ દલીલ આ હતી : “આ વર્ષે જે નવો આકાર ઠરાવવામાં આવ્યો

૭૨