આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વણિક સત્યાગ્રહીઓ ઉપર નોટિસ પહોંચી છે કે જો તેઓ ૧૨મી એપ્રિલ પહેલાં તેમની નોટિસોમાં જણાવેલી જમીનનું મહેસૂલ નહિ ભરી જાય તો તે બધી જમીન ખાલસા થશે. એક વણિક ગૃહસ્થની ઉપર નોટિસમાં ૧૬૦ રૂપિયાના આકારની જમીન બતાવી છે. સરકાર રૂ. ૧૬૦ની જપ્તી લાવત તો આપણને કદાચ બહુ દોષ કાઢવાપણું ન હોત. પણ રૂ. ૧૬૦ ને સારુ હજારો રૂપિયાની કિંમતની જમીન ખાલસા કરવી એટલે જ નાદીરશાહી. આ રાજનીતિમાં અમુક પ્રસંગોમાં તમાચાનો ઉત્તર તમાચો નહિ પણ ફાંસી હોય છે. એક રૂપિયાના લેણાને પેટે એક હજાર લેનારને આપણે જાલિમ કહીએ, તેને દશ માથાંવાળો રાવણ કહીએ.

આગળબુદ્ધિ ગણાતા વાણિયા આનો જવાબ છેવટે શો આપશે ? પોતાની ભીરુતા સિદ્ધ કરી બતાવશે કે સત્યાગ્રહી સેનામાં જોડાવાની યોગ્યતા સિદ્ધ કરી બતાવશે ?

વલ્લભભાઈએ એકવાર નહિ પણ અનેકવાર ચેતવણી આપી છે કે સરકારે જમીન ખાલસા કરવાના, જેલમાં મોકલવા વગેરે અધિકાર કાયદા વડે લઈ રાખ્યા છે, અને એ અધિકારનો અમલ કરતાં તે મુદ્દલ અચકાય એવી નથી એમ તેણે અનેકવેળા સિદ્ધ કરી આપ્યું છે. એટલે ખાલસાની નોટિસથી તેમણે કે બીજા કોઈએ હેબતાઈ જવાનું નથી. તેમણે વિશ્વાસ રાખવાનો છે કે ખાલસા થયેલી જમીન સરકારને નથી પચવાની કે નથી તે જમીન લિલામવેચાણમાં લેનાર કેાઈ દ્રોહી નીકળી પડે તો તેની થવાની. આમ લૂંટેલી જમીન કાચો પારો છે ને તે ફૂટી નીકળ્યા વિના ન જ રહે.

પોતાની ટેકના કરતાં કે આબરૂના કરતાં જમીન વધારે નથી. જમીન નથી તેવા અસંખ્ય મનુષ્યો આ દેશમાં પડ્યા છે. જમીનવાળાની જમીન ગઈ રેલમાં ઘસાઈ ગઈ ને તેની ઉપર રેતીનાં રણ જામ્યાં છે. ગુજરાતીઓ જેમ આસમાનીને ધીરજ ને વીરતાપૂર્વક વશ થયા, તેમ બારડોલીના સત્યાગ્રહીઓ આ સુલતાની રેલને વશ થાઓ ને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરો.”