વકીલાતની ગાડી
બીજે દિવસે પ્રભાતે હું મારી દેવીનો સામાન સંભાળતો
સંભાળતો એનાં સ્મરણ-ચિહ્નોને સ્પર્શ કરી રહ્યો હતો ત્યાં
તો મારી મોટી પુત્રી કલમદાન લઈને આવી અને મને કહ્યું
કે 'બાપુ, માતાજીએ એક કાગળ લખીને આમાં મૂકી રાખ્યો
છે.' મેં એ કાગળ ઉખેળીને વાંચ્યો. એમાં લખ્યું હતું:–
“સ્વામીનાથ ! હું તો હવે રજા લઉં છું. મારા અપરાધ
ક્ષમા કરજો. આપને તો મારાથી વધુ રૂપાળી અને બુદ્ધિશાળી
દાસી મળી રહેશે. પરંતુ આ બચ્ચાંને ન વિસારજો હો !
મારા છેલ્લા પ્રણામ સ્વીકારજો.'
મારા અંતર પર એ શબ્દો અંકાઈ ગયા. રાત્રિએ બધાં બચ્ચાંને બોલાવીને મેં એક કલાક સુધી પરમાત્મા પાસેથી સહનશક્તિ મેળવવા પ્રાર્થના કરી અને તે ક્ષણથી મહાવ્રત લીધું કે આ બચ્ચાંની માતાની ખોટ હું પોતે જ પૂરી પાડીશ. આજે મારાં બાળકો બોલી શકશે કે એ સંકલ્પ મેં પાર ઉતાર્યો છે કે નહિ.
મારી સમીપે એ ક્ષણે ખડાં થયેલાં પ્રલોભનમાંથી મને બેશક સ્વામી દયાનંદના સદ્બોધોએ તેમ જ વેદધર્મના આદેશોએ તો ઉગારી લીધો, પરંતુ મારા અંતરમાં માતૃભાવનો સંચાર કરી, માતા અને પિતા બન્નેનું સ્થાન પૂરૂં કરવા બંધાયેલ એવો ગુરૂકુળને યોગ્ય આચાર્ય જો મને કોઈએ બનાવ્યો હોય, તો તે બનાવનાર મારી દેવીનો છેલ્લો સંદેશો જ હતો.