દીકરો
પોતાના જીવનના અંતિમ દિવસોમાં, પોતાની અડસઠ
વર્ષની ઉમ્મરે જ્યારે માતાની અને પોતાની વચ્ચે કાળનો
મહાનદ ચાલીસ વર્ષોનું અંતર પાડીને વહેતો હતો, ત્યારે
પણ લાજપતરાય મૃત્યુના એ મહોદધિને સામે પાર ચાલી
ગયેલી માતાને નહોતા વિસારી શક્યા. કેમકે હિન્દની
રીબાતી સ્ત્રીજાતિરૂપે માતાને એ જીવન્ત માનતા હતા.
પોતે મિત્રોને કહેતા કે 'હવે હું ઝાઝું જીવવાનો નથી.
એટલે મારી છેલ્લી વારની સર્વોપરિ ઝંખના મારી માને
નામે એક સ્ત્રીએાની ઇસ્પિતાલ બાંધવાની છે.' એમ કહીને
એ બાબતની આખી રૂપરેખા પોતે તૈયાર કરેલી તે મિત્રોને
બતાવતા હતા. છેલ્લી ઘડીએ પોતાનું વસિયતનામું કરીને
પોતાની બાકીની બધી પૂંજી આ 'સ્ત્રી બચ્ચાંની ક્ષયનિવારણ
ઇસ્પિતાલ' માટે ટ્રસ્ટ કરીને આપી હતી, અને કાયમી ભંડોળ
સ્થાપવા માટે પાંચ લાખનો સવાલ દેશ સમક્ષ નાખી, પોતે
જ ભટકીભટકી મોટી રકમ ભીખી પણ આવેલ હતા.
પિતાજી પ્રત્યેના પ્રેમે પણ પેલી 'કાળા કદરૂપા બાલક માટેની ગ્લાનિનો ઠીક ખંગ વાળી દીધો ! ત્રેવીસ વર્ષની વયે તો લાજપતે બાપુને નોકરીમાંથી નિવૃત્તિ લેવરાવી, પોતાના નાના ભાઈઓના અભ્યાસનો બધો બેાજ ઉપાડી લીધો, રાધાકિશનજી પોતે જ પાછળથી કહેતા કે 'મેં પેન્શન લીધું ત્યારે લોકો મને રોકતા હતા, ડરાવતા હતા કે લાજપત ખર્ચ નહિ આપે તો ? પણ હું તો લાજપતને એાળખું ખરોને ! એ મારો દાનો દીકરો મને છેતરે જ નહિ.'