આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાચી જેલમાંથી બહાર આવી મિત્રોને મળી લઈ અમે મહોટી જેલ તરફ રવાના થયા. દરેકને હાથે બેડી પહેરાવી હતી. તથા લોખંડના એક લાંબા સળિયામાં દરેકની બેડી ભરાયેલી હતી. હું અને ભદ્રંભદ્ર સળિયાની સામસામી બાજુએ જોડાજોડ હતા તેથી ધીમે વાત કરવાની અનુકૂળતા હતી, શહેરના વસ્તીવાળા ભાગથી દૂર ગયા એટલે મેં સિપાઈને પૂછ્યું,

'મજલ કેટલી લાંબી હશે?'

'હેંડ્યો જા ને મારા ભાઈ, કેદમાં જવું તે કંઈ સુખ હશે? અમે વગર સજાએ પગ ઘસીએ છીએ ને!'

ભદ્રંભદ્રે મારા કાન આગળ ધીમેથી કહ્યું, 'જોયો સુધારાવાળાનો અન્યાય! શિક્ષા આપણને થઈ તોપણ પગાર ખાઈ આપણી ચોકી કરનારા સિપાઈ પોતાને દુ:ખ પડેલું કહે છે!'

મેં કહ્યું, 'સિપાઈ સુધારાવાળા છે એમ માનવાનું કારણ નથી.'

'જે જે નિંદાપાત્ર તે સર્વ સુધારાવાળા જ સમજી લેવા. આપણી સરખી આર્યધર્મ મૂર્તિઓને તુરંગમાં લઈ જાય તે શું નિંદાપાત્ર નથી? સુધારાવાળાઓએ બ્રાહ્મણોને હલકા પાડ્યા ન હોત તો કદી બ્રાહ્મણોને કેદની શિક્ષા થાત?'

થોડી વાર મૂંગા મૂંગા ચાલ્યા પછી ભદ્રંભદ્રે મને કહ્યું, 'સોમેશ્વરને બદલે તને બે માસની શિક્ષા થઈ હોત તો સારું થાત.'

હું એ વિચારથી પ્રસન્ન થઈ શક્યો નહિ તેથી કંઈ બોલ્યો નહિ તેથી મને સમજણ પાડવા ભદ્રંભદ્રે કહ્યું,

'તું કેદમાંથી છૂટીને ગયા પછી અડધો માસ મારી ચાકરી કરનાર કોઈ નહિ રહે અને તુંયે બહાર એકલો મૂંઝાઈશ. એ પંદર દિવસ આપણી નાતનો એકલો સોમેશ્વર જ મારી દ્રષ્ટિએ પડશે તો હું દુ:ખી થઈશ. એ વૈકુંઠમાં એકઠો થવાનો હોય તો હું નરકમાં જવાનું પસંદ કરું, માટે મારી ચાકરી કરવા સારુ તું પંદર દિવસની વધારે શિક્ષા માગી લેજે.'

'મહારાજ, કેદમાં તો આપણે ચાકરી કરવી પડશે. આપણી ચાકરી કોઈથી નહિ થાય.'

'હું એ માની શકતો નથી. ગુરુશિષ્યનો આર્યશાસ્ત્રોક્ત સંબંધ કારાગૃહમાં પાળવા દેવો નહિ એટલે સુધી શું સુધારાવાળાની અરજીઓ સરકારમાં જય પામી છે?'

કેટલીક વાર પછી એક વિશાળ મકાન દેખાવા લાગ્યું. ચારે તરફ ઊંચો કોટ હતો. કોટ બહાર બે-ત્રણ નાના નાના છૂટક બંગલા હતા. તથા એક બાજુએ મોટો બાગ હતો. વધારે પાસે જતાં કોટના મહોટા દરવાજા પાસે સિપાઈઓ બંદૂક લઈ પહેરો ફરતા જણાયા. ભદ્રંભદ્ર ચકિત થઈ બોલ્યા,

'ઉજ્જડ ભૂમિમાં આ શો ચમત્કાર! કેવું ભવ્ય, કેવું વિશાળ, કેવું મહાન આ ભવન છે! શો એમાં પવન છે! નિ:સંશય અહીં કોઈ રાજાનો નિવાસ હશે!'

અમારા મંડળમાંનો એક બેડી-બંધુ બોલ્યો,

આપણા જેવા ઘણા રાજારજવાડાની છાવણી અંદર પડેલી છે. આપણને તો