૪ : આગગાડીના અનુભવ (ચાલુ) : અમૂલ્ય ઓળખાણ
મારી સામે બેઠેલો એક જણ મારી સાથે વાત કરવાને બહુ ઇન્તેજાર હોય એમ જણાતો હતો; પણ વાત કેમ કહાડવી તે વિશે ગૂંચવાતો લાગતો હતો. તેથી મેં તેની મુશ્કેલી દૂર કરવા તેને પૂછ્યું, 'હવે કયું સ્ટેશન આવશે ?'
તેણે કહ્યું, 'મને બરાબર ખબર નથી. વડોદરાને તો વાર છે. તમારે ક્યાં ડાકોરજી જવું છે?'
મેં કહ્યું, 'ના, અમે તો મુંબઈ જઈએ છીએ. ત્યાં માધવબાગ સભા છે.'
'ક્યાં રહેવું?'
'અમદાવાદ'
'બ્રાહ્મણ હશો.'
મેં 'હા' કહી ભદ્રંભદ્ર ભણી જોયું કે તેમને વિશે કંઈ પુછે તો એમના ગુણ વર્ણવું; પણ તેણે ફરી નજર મળતાં પૂછ્યું, 'છોકરાં છે કે ?' મેં 'ના' કહી એ વાત બંધ કરાવવા આડું જોયું.
પણ તેણે ફરી પૂછ્યું, 'બાયડી તો હશે ?'
મેં ના કહેવા ડોકું ધુણાવી મારી પોટલી કાઢી, પણ તેણે તો પ્રશ્ન જારી જ રાખ્યા.
વળી પૂછ્યું, 'પરણેલા જ નહિ કે મરી ગઈ છે ?'
મેં બહુ જ નાખુશીથી જવાબ દીધો, 'મરી ગઈ છે.'
એની જોડે વાત કહાડી તે માટે હું પસ્તાવા લાગ્યો, ભદ્રંભદ્ર જાગે એમ ઇચ્છવા લાગ્યો, બીજો કોઈ એને વાતમાં વળગાડે તે માટે યુક્તિ શોધવા લાગ્યો પણ તે ડગે તેવો નહોતો.
'સુવાવડમાં મરી ગઈ ?' એમ પુછ્યું ત્યારે તો એમ થયું કે પૂછું કે તારે કંઈ કામ છે ? પણ એટલી હિંમત ચાલી નહિ તેથી ભદ્રંભદ્રની પાઘડી ભણી જોઈ કહ્યું કે 'તાવ આવતો હતો.' મેં ઠરાવ કર્યો કે હવે પૂછશે તો જવાબ નહિ દઉં. વળી મેં ધાર્યું કે હવે શું પૂછશે, પૂછવા જેવું રહ્યું છે શું ? માધવબાગની વાતમાં તેને નાંખવા શરૂ કરતો હતો તેટલામાં ફરી પૂછ્યું.
'કોઈ સારો વૈદ નહિ મળ્યો હોય, કે દાક્તરનું ઓસડ કરતા'તા ?' મેં ટૂંકમાં જ કહ્યું, 'વૈદનું.'
'કયા વૈદનું ?'
હું ગભરાઈ ગયો અને આ કંટાળાથી ક્યારે છુટાશે એમ નિરાશાથી વિચારવા લાગ્યો; વળી જરા હિંમત લાવી જવાબ દીધો:
'તમે નહિ ઓળખો.'
'પણ નામ તો કહો ?'
આનો પાર આવત જ નહિ, પણ એવામાં સ્ટેશન આવ્યું. ગાડી અટકી તેથી