આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપોદ્‌ઘાત

આપણા હાસ્યરસના સાહિત્યના ઇતિહાસમાં રમણભાઈનું સ્થાન બહુ ઊંચું છે. એમણે હાસ્યરસનું સર્જન કર્યું છે, એની તલસ્પર્શી મીમાંસા કરી છે. એટલું જ નહિ પણ એને પૂર્વના દીન અને ગૌણ સ્થાનેથી ઊંચે આણી એના ગૌરવની પણ સ્થાપના કરી છે.

એમની પૂર્વેના લેખકોએ હાસ્યને બહુ ગૌણ સ્થાન આપ્યું હતું. આપણા પ્રાચીન કાળના સાહિત્યમાં પ્રેમાનંદ અને અખાને બાદ કરતાં બીજા કવિઓનું એના તરફ ધ્યાન ગયું નથી. અંગ્રેજી સાહિત્યનો સંપર્ક થયા પછીના અર્વાચીન યુગના આરંભકાળમાં પણ નવલરામ ને દલપતરામનાં નામ અપવાદ તરીકે જણાય છે તેમાંયે નવલરામે એક નાટક, એકાદ કાવ્ય ને એકબે નિબંધો હાસ્યના લખી ઇતિકર્તવ્યતા માની છે.

પ્રાચીન કાળના ભક્તિયુગમાં મંજીરા ને કરતાલના ઘોષમાં હાસ્યનો રણકો ઊઠી શક્યો નહિ. અર્વાચીન કાળના પ્રારંભના સમયમાં સંસારસુધારાના પ્રચંડ ઝંડા નીચે હાસ્યની દુર્બલ મૂર્તિ દબાઈ ગઈ, તે જ પ્રમાણે તે પછીના પંડિતોના યુગમાં પાંડિત્યના પ્રખર તાપમાં હાસ્યની વેલ વિકસી શકી નહિ. એ યુગમાં હાસ્યરસની શોધ કરનારને अत्र लुप्ता सरस्वती અહીં હાસ્યની સરસ્વતી સુકાઈ ગઈ એમ કહેવા વારો આવે એવી સ્થિતિ ઊભી થઈ. પરંતુ ભગીરથે જેમ તપશ્ચર્યા કરી ભગવાન શંકરની સહાય વડે જગજ્જનનાં પાપ ધોવા માટે ગંગાને અવનીમાં ઉતારી, તેમ રમણભાઈએ શંકરના પરમભક્ત મહાનુભાવ ભદ્રંભદ્રનું અવલંબન લઈને સમાજનાં દુરિતોનું પ્રક્ષાલન કરવાને અર્થે વિલુપ્તપ્રાય થઈ ગયેલી આપણી હાસ્યગંગાને ફરી ગુજરાતીમાં વહેતી કરી.

શૃંગાર, વીર, કરુણ આદિનાં સ્વતંત્ર મંદિરો રમણભાઈની પૂર્વેના લેખકો રચતા ને તેમાં કોઈક વાર એકાદ ખૂણામાં હાસ્યને પણ સ્થાન આપવાની કૃપા કરતા. હાસ્યને અન્ય મુખ્ય ભાવના સહચારી ભાવ તરીકે આવીને તેનું હાસ્ય કરવાની પરવાનગી હતી, પણ મુખ્ય ભાવ તરીકે એને સ્થાન ભાગ્યે જ મળતું. રમણભાઈએ ઉપેક્ષા પામેલા એ હાસ્યનું સ્વતંત્ર મંદિર રચ્યું અને એ મંદિરના પ્રવેશદ્વાર પર આલેખ્યું, ‘હાસ્યનું પણ મંદિર હોય છે, બીજાં મંદિર પેઠે એ મંદિરમાં પણ ભક્તિના, આનંદના, ઉત્સાહના, અભ્યાસના પ્રસંગ હોય છે. એ મંદિરમાં પણ એકાન્ત મનન કરવાના, આત્મપરીક્ષા કરવાના, તેમ જ બીજા ભક્તોના સંગમાં તેમના સરખી લાગણી અનુભવવાના અવસર મળે છે. વિશુદ્ધિના ને ઉત્કર્ષના પ્રયાસ પણ એ મંદિરમાં થઈ શકે છે.’

રમણભાઈએ હાસ્યના મંદિરની રચના કરી છે તેના પર કલશસ્થાને શોભે. છે, ‘ભદ્રંભદ્ર’, ‘હાસ્યમંદિર’ કરતાં પણ ‘ભદ્રંભદ્ર' પરથી રમણભાઈની હાસ્ય નિષ્પન્ન