આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આત્મસિદ્ધિ

જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું — શ્રી સદગુરુ ભગવંત. ૧.

વર્ત્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ,
વિચારવા આત્માર્થિને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨.

કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. ૩.

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નીષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪.

બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ,
વર્ત્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનિ તે આંહિ. ૫.

વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬.

ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭.

જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮.

સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯.

આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦.

પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧