ઉત્તર આપ્યો “છાની રહે, કોઈ જોતું નથી. અત્યારે મ્હને ત્રિલોકી દેખાય છે.”
આ સાંભળી ગધેડાવાળાએ કહ્યું “ભાઈ ! જો તને ત્રિલોકની સર્વ વસ્તુઓ જણાતી હોય, તો મહેરબાની કરીને મારો ગધેડો હાલ ક્યાં છે એ કહે.”
કુંભારનો આ પ્રશ્ન સાંભળી આંધળીએ પેલા અંધને કહ્યું “ અરે, કાઢી લે.”
આ વાત સાંભળી શેરડીવાળો સમજ્યો કે કદાચ પેલા ભારામાંથી શેરડી કાઢી લેવાનું કહેતી હશે, એટલે તેણે કહ્યું “ભાઈ ! લગાર વિચાર કરીને કાઢજે. શેરડીઓ મ્હારી ગણેલી છે. જો તારે ખાવી હોય તે માંગી લે, પણ જો ચોરી કરી તો તારું માથું તોડી નાંખીશ.”
આ બનાવ જોઈ બીરબલને હસવું આવ્યું અને તરતજ વરસાદ વરસવા લાગ્યો. વરસાદ વરસતાં બાદશાહે બીરબલને શેાધી મંગાવ્યો અને તેને હંસવાનું કારણ પૂછ્યું. ત્યારે બીરબલે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળીને બાદશાહ પણ હસતાં હસતાં લોટી પડ્યો.
હીંમતે મર્દા તો મદદે ખુદા.
એક દિવસે બાદશાહે પૂછયું “બીરબલ ! લડાઈ પ્રસંગે કઈ વસ્તુ કામ લાગે ?” બીરબલે અરજ કરી “નામદાર ! તે પ્રસંગે સમયસૂચકતા કામ લાગે.”
બાદશાહે કહ્યું “અરે, બીરબલ! સમયસૂચકતા તે વળી શા ઉપયોગમાં આવે? લડાઈ વખતે તો હથીયાર કામ લાગે છે ?!”