આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
પંડિતના પ્રશ્નો.


વૃદ્ધાવસ્થાને કારણે બાદશાહ જ્યારે માંદો પડ્યો અને તેનું મોત પાસે દેખાવા લાગ્યું, ત્યારે તેણે પોતાના એકના એક શાહઝાદાને બોલાવી કહ્યું “પ્યારા બેટા ! મ્હારૂં મોત નઝદીક છે. હું મરી જાઉં એટલે મ્હારી કબ્ર સુધી લઈ જતી વખતે મ્હારા હાથ જનાઝામાંથી બ્હાર રાખજો અને આખા શહેરમાં મ્હારો જનાઝો ફેરવ્યા બાદ દફનાવજો.”

થોડા વખત પછી તે મરી ગયો, ત્યારે તેના પુત્રે પોતાના બાપની મરઝી પ્રમાણે તેના હાથ જનાઝામાંથી બ્હાર રાખ્યા અને જનાઝો આખા શહેરમાં ફેરવ્યો.

શહેરના લોકો મરહુમ બાદશાહના હાથ જનાઝા બ્હાર ખુલ્લા જોઈ આશ્ચર્ય પામતા, માંહોમાંહે પૂરપરછ કરવા લાગ્યા. એવામાં એક કવિ ત્યાં ઉભો હતો તેણે કહ્યું “ભાઈયો ! આનું કારણ બહુજ ચમત્કારી છે. સાંભળો:—

સવૈયા.

રાજ કીયો બહુ દેશનકો,
સબ રાજનમેં હકુમત છાંઈ;
દેશ, કિલ્લે, ગઢ, કોટ રચે,
સંગે નારીનકે અતિ એશ ઉડાઈ:
હીરા, લા'લ જવાહિર, મણિ,
મુકતન કે ભંડાર ભરાઈ;
રંગી કહે સબ ઠાઠકો છોડદે,
હાથ પસારકે જાત હો ભાઈ.*[૧]


  1. *એવીજ મતલબનો એક ઉર્દુ શએર પણ છે કે:— ક્યા લાયાથા, સિકંદર, દુનિયાસે લે ચલા ક્યા ? યે હાથ દોનોં ખાલી બાહિર કફનસે નિકલે.