બુદ્ધ
દુષ્ટતાનો વિરોધ કર્યા વિના રહેવું નહિ એ બીજા પ્રકારનો પ્રતિકાર છે. પણ દુષ્ટની દુષ્ટતા વપરવામાં જેટલી ઉણપ તેટલું શુભ ચિહ્ન લેખી, એની મૈત્રી જ કરવી અને મિત્રભાવના વડે જ એને સુધારવા મથવું એ દુષ્ટતાની જડ ઉખેડનારો ત્રીજો પ્રકાર છે. મિત્રભાવના અને અહિંસાની કેટલી ઉંચી સીમાએ પૂર્ણ પહોંચ્યો હશે તેની કલ્પના કરવા જેવી છે.
૧૪. નકુલમાતા નામે ઓળખાવવામાં આવેલી બુદ્ધની એક શિષ્યાનું વિવેકજ્ઞાન, એણે પોતાના પતિને એના ભારે મંદવાડ વખતે કહેલાં વચનો પરથી ઓળખાય છે. એણે કહ્યું, "હે ગૃહપતિ, સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામો એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ, કદાચિત તમારા મનમાં એવી શંકા આવશે કે ' હું મુઆ પછી નકુલમાતા છોકરાંઓનું પાલન કરી શકશે નહિ.' પરંતુ એવી શંકા તમે મનમાં લાવશો નહિ. કારણ મને સુતર કાંતવાની કળા આવડે છે, અને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી