આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪: છાયાનટ
 


‘વરસાદને લીધે બચી ગયા.'

‘કેમ ?’

‘આજ તો કોઈ શેઠિયાને કે એના દીકરાને છરો ખોસવાનો સાંભળ્યું'તું.'

‘શા માટે ?’

‘મરીએ અમે બધાં અને શેઠિયા મોજ કરે ?'

આ યુવતીની વાત સાચી હતી. હુલ્લડના પ્રત્યેક પ્રસંગે મરનાર તો ગરીબ માણસ જ હોય ! કોઈ શેઠશાહુકાર, મિલમાલિક, અમલદાર કે એમના છોકરાઓમાંથી કોઈને છરા ખોસાતા હોય તો આ હુલ્લડના રંગ બદલાઈ જાય ! સ્વામી શ્રદ્ધાનંદ કે ગણેશશંકર વિદ્યાર્થીનાં મોતમાં આપણે સમાજસેવકોનાં મોતની શક્યતા જોઈ શકીએ. પરંતુ આ સર્વ હુલ્લડોમાં જાણીતો ધનિક કે નાગરિક હિંદુમુસલમાનોમાંથી ઘવાતો નથી. એ મહાસૂચક સત્ય ધન, નેતાગીરી અને તેમના હુલ્લડ સાથેના સંપર્ક વિષે કોઈ વિચિત્ર પ્રકાશ પાડે છે !

અને આવી ઓરડીમાં વસનારનાં મન વેરરહિત બને તો નવાઈ કહેવાય !

‘ભૂખ્યા હશો, નહિ ?' મજૂર સ્ત્રીએ પૂછ્યું.

‘હા, છું તો ખરો પણ હું ચલાવી શકું એમ છું.' ગૌતમે કહ્યું.

‘આને માટે રોટલો ઘડી મૂક્યો છે. એ તો હવે કાલે ઊઠવાનો. તમને ફાવે તો રોટલો આપું.’

‘નોકરી નથી અને લોટ તું લાવી શી રીતે ?'

‘અમને જેટલું ઓછું પૂછો એટલું સારું.’ રોટલો કાઢી લાવી એ સ્ત્રીએ કહ્યું.

માટીના કલેડામાં મૂકેલો એ રોટલો ઘણો મોટો હતો. તેનો દેખાવ છેક ન ગમે એવો ન હતો, છતાં પાણીનાં છાટાં તેના ઉપર પડેલા હતા.

માટીના ઠોબરામાં રોટલા સાથે સહજ મીઠું અને સૂકું મરચું મૂકી તેણે ગૌતમના પગ પાસે એ વાસણ મૂકી દીધું.

ગૌતમને ગરીબીનું અભિમાન હતું. ગરીબ કહેવડાવવામાં આનંદ માનતો અને જગતના દલિતો જોડે એકતા અનુભવતો. ગરીબીનાં ઊંડાણ એની કલ્પના કરતાં પણ વધારે ભયંકર નીકળ્યાં. એની કલ્પનાની ગરીબીને પડછે આ સાચી ભયાનક ગરીબી કમકમી ઉપજાવી રહી હતી.

‘મારે ખરેખર ખાવું નથી.' ગૌતમે કહ્યું.