‘વરસાદને લીધે બચી ગયા.'
‘કેમ ?’
‘આજ તો કોઈ શેઠિયાને કે એના દીકરાને છરો ખોસવાનો સાંભળ્યું'તું.'
‘શા માટે ?’
‘મરીએ અમે બધાં અને શેઠિયા મોજ કરે ?'
આ યુવતીની વાત સાચી હતી. હુલ્લડના પ્રત્યેક પ્રસંગે મરનાર તો ગરીબ માણસ જ હોય ! કોઈ શેઠશાહુકાર, મિલમાલિક, અમલદાર કે એમના છોકરાઓમાંથી કોઈને છરા ખોસાતા હોય તો આ હુલ્લડના રંગ બદલાઈ જાય ! સ્વામી શ્રદ્ધાનંદ કે ગણેશશંકર વિદ્યાર્થીનાં મોતમાં આપણે સમાજસેવકોનાં મોતની શક્યતા જોઈ શકીએ. પરંતુ આ સર્વ હુલ્લડોમાં જાણીતો ધનિક કે નાગરિક હિંદુમુસલમાનોમાંથી ઘવાતો નથી. એ મહાસૂચક સત્ય ધન, નેતાગીરી અને તેમના હુલ્લડ સાથેના સંપર્ક વિષે કોઈ વિચિત્ર પ્રકાશ પાડે છે !
અને આવી ઓરડીમાં વસનારનાં મન વેરરહિત બને તો નવાઈ કહેવાય !
‘ભૂખ્યા હશો, નહિ ?' મજૂર સ્ત્રીએ પૂછ્યું.
‘હા, છું તો ખરો પણ હું ચલાવી શકું એમ છું.' ગૌતમે કહ્યું.
‘આને માટે રોટલો ઘડી મૂક્યો છે. એ તો હવે કાલે ઊઠવાનો. તમને ફાવે તો રોટલો આપું.’
‘નોકરી નથી અને લોટ તું લાવી શી રીતે ?'
‘અમને જેટલું ઓછું પૂછો એટલું સારું.’ રોટલો કાઢી લાવી એ સ્ત્રીએ કહ્યું.
માટીના કલેડામાં મૂકેલો એ રોટલો ઘણો મોટો હતો. તેનો દેખાવ છેક ન ગમે એવો ન હતો, છતાં પાણીનાં છાટાં તેના ઉપર પડેલા હતા.
માટીના ઠોબરામાં રોટલા સાથે સહજ મીઠું અને સૂકું મરચું મૂકી તેણે ગૌતમના પગ પાસે એ વાસણ મૂકી દીધું.
ગૌતમને ગરીબીનું અભિમાન હતું. ગરીબ કહેવડાવવામાં આનંદ માનતો અને જગતના દલિતો જોડે એકતા અનુભવતો. ગરીબીનાં ઊંડાણ એની કલ્પના કરતાં પણ વધારે ભયંકર નીકળ્યાં. એની કલ્પનાની ગરીબીને પડછે આ સાચી ભયાનક ગરીબી કમકમી ઉપજાવી રહી હતી.
‘મારે ખરેખર ખાવું નથી.' ગૌતમે કહ્યું.