આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨: છાયાનટ
 


‘હિંદમાં એ શક્ય છે.'

‘હિંદમાં શા માટે ?’

‘હિંદ પરાધીન છે માટે.'

‘હિંદ શા માટે પરાધીન છે ?'

‘આપે એને બંધનમાં જકડી રાખ્યું છે માટે.’

'મેં?'

‘આપ એ બંધનમાં જકડી રાખનાર સત્તાના પ્રતીક છો.'

‘એમ ? અમારો કશો ઉપકાર હિંદ ઉપર થયો નથી શું ?’

'આજ તો કશો ઉપકાર દેખાતો નથી.'

‘તમને શાંતિ અને વ્યવસ્થિત રાજ્ય આપ્યું.’

‘શાંતિ કબરસ્તાનની અને વ્યવસ્થિત રાજ્ય ગુલામો ઉપરનું.’

સાહેબ ઝીણી ઝીણી આંખ કરી વાત આગળ ચલાવતા હતા અને ગૌતમ સ્વસ્થતા મળવાથી એના સ્પષ્ટ અભિપ્રાયો ચોંકાવનારી ઢબે મૂકવા લલચાતો હતો.

વાત અનેક પ્રશ્નો ઉપર ફરી વળતી હતી અને કલેક્ટર સાહેબ બહુ જ આસાનીથી ગૌતમના વિચારો જાણી લેતા હતા. દેશને સ્વતંત્ર બનાવવાનો તેનો શુભ ઉદ્દેશ સ્વીકારવા છતાં તેમણે ગૌતમને પૂછ્યું :

‘તમારા પિતાની સ્થિતિ સાધારણ છે. તમને વગર સાધને રાજકીય કાર્યમાં ઝંપલાવવું ફાવશે ખરું ?’

‘શા માટે નહિ ? જરૂરિયાત બહુ જ થોડી છે.’

‘એ પણ મળવી જોઈએ ને ?'

‘મળી રહેશે. દુઃખ સહન કર્યા વગર કશી સફળતા મળે જ નહિ.’

‘તમારી આવડત અને બુદ્ધિનો ઉપયોગ બંધારણની રાહે જ કરો તો?'

‘એટલે ?'

‘રાજવહીવટ એ રમત નથી, દોષદર્શન નથી, ભાષણ નથી. એ એક કલા છે. માટે જે જે અમલદારશાહીને તમે વખોડો છો તેને અમે સંતુષ્ટ રાખીએ છીએ.'

‘કયી અમલદારશાહી ? સનદી ? આઈ.સી.એસ.ની ?’

'હા.'

‘આપને એક સાચી વાત સમજાવું ?’