આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લૉર્ડ ચેમ્સફર્ડની સાથે તે વિશે વાત થઈ ને તેમણે આપેલું વચન પાળ્યું. બીજાઓએ પ્રયાસ કરેલો હું જાણું છું, પણ આમાંથી સત્યાગ્રહ થશે એવો સંભવ હતો તેથી જકાત રદ થઈ એવો મારો દૃઢ અભિપ્રાય છે.

વિરમગામ પછી ગિરમીટનો કાયદો. એ રદ કરવાને સારુ ખૂબ પ્રયાસ થયા હતા. તે લડતને સારુ જાહેર ચળવળ સારી પેઠે થઈ હતી. મુંબઈમાં થયેલી સભામાં ગિરમીટ બંધ કરવાની તારીખ ૩૧મી જુલાઈ, ૧૯૧૭ ઠરાવવામાં આવી હતી. તે તારીખ કેમ મુકરર થઈ તેનો ઈતિહાસ અહીં ન અપાય. તે લડતને અંગે વાઈસરૉય પાસે પહેલું બહેનોનું ડેપ્યુટેશન ગયું. તેમાં મુખ્ય પ્રયાસ કોનો હતો એ લખ્યા વિના ન જ રહી શકાય. ચિરસ્મરણીય બહન જાઈજી પિટીટનો એ પ્રયાસ હતો. એ લડતમાં પણ કેવળ સત્યાગ્રહની તૈયારીથી જ વિજય થયો, પણ તેને અંગે જાહેર ચળવળની જરૂર હતી એ ભેદ યાદ રાખવા જોગ છે. ગિરમીટનો અટકાવ વિરમગામની જકાત કરતાં વજનદાર હતો. લૉર્ડ ચેમ્સફર્ડૅ રૉલેટ એક્‌ટ પછી ભૂલો કરવામાં મણા નથી રાખી. છતાં તે શાણા વાઈસરૉય હતા એમ મને હજુયે લાગે છે. સિવિલ સર્વિસના સ્થાયી અમલદારોના પંજામાંથી છેવટ લગી કયો વાઈસરૉય બચી શકે ?

ત્રીજી લડત ચંપારણની. તેનો વિગતવાર ઇતિહાસ રાજેન્દ્રબાબુએ લખ્યો છે. આમાં સત્યાગ્રહ કરવો પડ્યો. કેવળ તૈયારીથી બસ ન હતું, પણ સામેના પક્ષનો સ્વાર્થ કેટલો બધો હતો ! ચંપારણમાં લોકોએ શાંતિ કેટલી જાળવી એ નોંધવા યોગ્ય છે. નેતાઓએ બધાએ મનથી, વચનથી ને કાયાથી સંપૂર્ણ શાંતિ જાળવી એનો હું સાક્ષી છું. તેથી જ આ સૈકાઓનો સડો છ માસમાં નાબદ થયો.

ચોથી લડત અમદાવાદના મિલમજૂરોની. તેનો ઇતિહાસ ગુજરાત ન જાણે તો કોણ જાણે ? મજૂરોની કેવી શાંતિ ! નેતાઓને વિશે મારે કંઈ કહેવું હોય? છતાં આ જીતને મેં સદોષ ગણી છે, કેમ કે મજૂરોની ટેક જાળવવા સારુ થયેલો મારો ઉપવાસ માલિકો પર દબાણરૂપ હતો. તેમની અને મારી વચ્ચેનો સ્નેહ ઉપવાસની અસર તેઓની ઉપર પાડે જ. એમ છતાં લડતનો સાર તો ચોખ્ખો છે. મજૂરો શાંતિથી ટકી રહે તો તેમની જીત થાય જ ને તેઓ માલિકોનાં