આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


છેવટમાં, દેશી રાજાઓની ખાંખત કરવાથી તે સુધરવાના નથી. જેમ ખંજવાળશો તેમ તેની દાદર વધશે. એટલે તે તેમના ચક્રવર્તીની સોડે જઈ મલમપટી શેાધશે. પ્રશ્નકાર તો બટલર કમિટીનો રિપોર્ટ ઘેાળીને પી ગયા હશે. તેઓ સામ્રાજ્યની છત્રછાયાને કાં વળગે છે? એ છત્ર ઊડી જાય તો સ્વતંત્ર ભારતવર્ષની સામે તે નહિ ઝૂઝે, નહિ ઝૂઝી શકે.

એટલે દેશી રાજ્યોની પાસેથી તેમને વીનવીને, મારી શક્તિ હોય તો તેમની સાથે સત્યાગ્રહ કરીને, જે લેવાય તે હું લઉં. મારામાં બીજી શક્તિ ન હોય, મારા વિનયને તેઓ ન ગાંઠે, તો હું ધીરજ રાખું ને મૂળને એટલે સામ્રાજ્યને ઉખેડવા મથું. દેશી રાજાઓ આપણા જેવા છે, આ ભૂમિનો પાક છે; જે દોષો આપણામાં છે તે તેમનામાં છે, જે ગુણો આપણામાં હશે તે પણ તેમનામાં હશે, એમ માનવાની ઉદારતા આપણે કેળવવી જોઈએ. જે દૃશ્ય મોરબી ઠાકોર સાહેબની પાસે પેલી હરિજન શાળાને વખતે અનાયાસે જોવામાં આવ્યું તેમાં ઘણુંયે આશ્વાસન લેવાજોગ હતું.

ભાઈ કકલભાઈના પ્રશ્નોમાં એક વાત રહેલી છે તેને હું પહોંચી શકું તેમ નથી. જો પરિચિત દેશી રાજ્યની સત્તા પણ સામ્રાજ્ય કરતાં તો ખરાબ જ હોય એવો તેમનો છેવટનો નિર્ણય હોય તો મારા જવાબ બધા નિરર્થક સમજું છું. કેમકે ત્યાં તેમની ને મારી વચ્ચે સિદ્ધાંતભેદની ચિનાઈ દીવાલ ખડી થાય છે. હું આશાવાદી રહ્યો, કકલભાઈ નિરાશાવાદી ઠરે. હું મનુષ્યસ્વભાવમાં વિશ્વાસ રાખનારો રહ્યો, કકલભાઈ ને તેવો વિશ્વાસ નથી એમ ઠરે. એવા નાસ્તિક તે નથી એમ સમજીને તેમના પ્રશ્નોના જવાબ આપવા હું પ્રેરાયો છું.

નવજીવન, ૨૮–૪–૧૯૨૯