આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
દેશી રાજ્યોનો પ્રશ્ન


આપણે રાજના અને સત્યાગ્રહીના ગુણનું ચિંતન કરી બંનેના મેળ સાધીએ.

સૌરાષ્ટ્રના સત્યાગ્રહીને બે અંગત શબ્દ. તમે મૂઠીભર છો. તમે મને મોટી આશા બંધાવી છે. તમારો રજ જેવડો દોષ મને ગજ જેવડો લાગવો જોઈએ. તો જ આપણો મેળ બાઝે. તમારામાં રાગદ્વેષ, હિંસા, અસત્યની જરા પણ માત્રા હોય ત્યાં લગી તમારે સત્યાગ્રહનો વિચાર સરખોયે ન કરવો. તમારો પ્રથમ ધર્મ યોગ્યતા મેળવવાનો છે. કાઠિયાવાડી જગતમાં જ્યાં જ્યાં અનીતિ, અન્યાય જુઓ, ત્યાં ત્યાં ચડાઈ કરવા બંધાયા છો એમ ન માનતા. પણ મૂંગે મોઢે રચનાત્મક કામ કરી યોગ્યતા મેળવો. ચડાઈ વહોરવા ન નીકળો. તમારે આંગણે આવે ત્યારે વધાવજો.

નવજીવન, ૧૯–૭–૧૯૩૧