આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

અને અહિંસક રહે એટલું પૂરતું નથી. તેમણે પોતાની સહન કરવાની શક્તિનું માપ કાઢી લેવું એ પણ આવશ્યક છે. સ્વતંત્રતાસુંદરી તેનું સંવનન કરનારની પાસેથી ભારે કિંમત માગે છે. અને એ કિંમત આપનાર ઘણા ન હોય ત્યાં લગી જે થોડાક ઉત્સાહીઓ બધે જોવામાં આવે છે તેમણે પોતાની શક્તિનો સંચય કરી રાખવો આવશ્યક છે. તેઓ બહુ ભારે રાજકીય કાર્યક્રમ રાખ્યા વિના પ્રજાની રચનાત્મક સેવાનું કામ હાથમાં લે એ સારું છે. રાજકીય ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ રચનાત્મક સેવામાંથી અવશ્ય આવશે. શાણપણ અને ધીરજ તેમને એવી શક્તિ આપશે જે કાળે કરીને એવી બની જશે જેનો સામનો કોઈ નહિ કરી શકે.

હરિજનબંધુ, ૨–૧૦–૧૯૩૮