આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

મને ઉમેદ છે કે ઔંધના સુંદર દાખલાનું બીજા રાજ્યો અનુકરણ કરશે અને લોકો પણ તેમને મળેલી જવાબદારી ઉઠાવવા પોતે પૂરી લાયકાત ધરાવે છે. એમ પુરવાર કરી આપશે. રાજગાદીના વારસ યુવરાજ, મેં એમને વિષે સાંભળ્યું છે તે મુજબ, સાચા પ્રજાસેવક છે, અને એ રીતે આરંભ કરવામાં પ્રજાને તેમની મોટી મદદ થઈ પડશે એવી હું ઉમેદ રાખું છું. પોતે લીધેલા પાશ્ચાત્ય શિક્ષણથી આ યુવરાજ બગડ્યા નથી. કહેવાય છે કે તે સત્ય અને અહિંસાના સાચા પૂજારી છે. તે ગ્રામોદ્ધારનાં કામોમાં ભાગ લે છે, સ્વયંસેવકો જોડે ભળીને જાતે રસ્તા વાળે છે, બીજાના જેટલી જ સહેલાઈથી ટોપલો અને પાવડો ઊંચકીને કામ કરે છે. લેખક પણ છે. તે ભંગીકામ કરીને મેલું પણ ખસેડે છે.

પેશાવર, ૫–૧૧–૩૮
હરિજનબંધુ, ૧૩–૧૧–૧૯૩૮