આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૬
ઠાકોરસાહેબને ગાંધીજીના કાગળ

મહેરબાન ઠાકોર સાહેબ,

આ કાગળ લખતાં સંકોચ થાય છે. પણ ધર્મ થઈ પડ્યો છે.

મારું અહીં આવવાનું કારણ આપ જાણો છો. ત્રણ દિવસ દરબાર વીરાવાળા સાથે વાતો થઈ. એમનાથી મને ભારે અસંતોષ થયો છે. એકેય વાત પર કાયમ રહેવાની શક્તિ જ એ ધરાવતા નથી એવો મારો આ ત્રણ દિવસના પરિચય પરથી બંધાયેલો અભિપ્રાય છે. મને લાગે છે કે એમની દોરવણીથી રાજ્યનું અહિત થાય છે.

હવે આ કાગળના હેતુ ઉપર આવું. વર્ધા છોડતાં મેં એ નિશ્ચય કર્યો હતો કે આપે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવ્યા વિના હું રાજકોટ નહીં છોડું. પણ મારે અહીં એકબે દિવસ કરતાં વધારે રહેવું પડશે અથવા મારી ઉપર જે વીતી છે એ વીતશે એમ મેં નહોતુ ધાર્યું.

હવે મારી ધીરજ ખૂટી છે. જો બની શકે તો મારે ત્રિપુરી જવું જોઈએ. હું ન જાઉં તો હજારો કાર્યકર્તા નિરાશ થાય અને લાખો દરિદ્રનારાયણ વ્યાકુળ બને. એટલે વખતની આ વેળા મારે સારુ બહુ કિંમત છે.