આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૧
હું હાર્યો


એટલે હું ખાલી હાથે, ભાંગેલ દેહે અને આશા ઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું. રાજકોટ મારે સારુ જીવનની અણમૂલી પ્રયોગશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે. હું કાર્યકર્તાઓને કહીને આવ્યો છું : “દરબારશ્રી વીરાવાળા જોડે મંત્રણા કરો. મને અને સરદારને ભૂલો. જો તમને તમારી ઓછામાં ઓછી હાજતો પણ મળી રહે તો અમારા બેમાંથી એકેને પૂછવા વાટ ન જોતાં તે સ્વીકારી શકો છો.” દરબારશ્રી વીરાવાળાને મેં કહ્યું છે: “હું હાર્યો છું. તમે જીતજો. પ્રજાને અપાય તેટલું આપીને રીઝવજો. અને મને તાર કરજો કે જેથી આ ઘડીએ બળી ખાખ થયેલી દેખાતી મારી આશાવેલ ફરી લીલી થવા પામે.”

રાજકોટથી મુંબઈ જતાં ગાડીમાંથી, ૨૪–૪–૩૯
હરિજનબંધુ, ૩૦–૪–૧૯૩૯