અર્થ નીકળે તોપણ એ અયોગ્ય ગણાય. રખેને એવો અનર્થ થાય એ ભય પણ મને અત્યારે આ પદ સ્વીકારતાં રહ્યો છે.
તેથી મારે આટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે, દેશી રાજ્યો વિષેના મારા વિચારોને મહાસભાના સભાના વિચારો સાથે કશો સંબંધ નથી. મારા વિચારો તદ્દન સ્વતંત્ર છે; તેને મહાસભાની મહોર નથી મળી.
જો આ પરિષદના પ્રમુખ તરીકે મને લાયક ગણવામાં આવ્યો છે તો મારે હિસાબે તેનું કારણ તો એ છે કે, હું કાઠિયાવાડનો વતની છું ને આ પરિષદના સંચાલકોની સાથે મારે ગાઢ સંબંધ છે. મહાસભાનું સુકાન અત્યારે મારા હાથમાં છે એ તો એક અકસ્માત છે.
વિષયનો આરંભ કરું તે પહેલાં ભાઈ મનસુખલાલના સ્વર્ગવાસની નોંધ મારે લેવી પડે છે. તેમની સાથેના મારો સબંધ તમે સૌ જાણો છો. અત્યારે તેમની ગેરહાજરી તમને સાલે એ નવાઈ નથી; પણ મને બહુ સાલે છે એ હું છુપાવી શકતો નથી. કવિશ્રી શંકર રત્નજી ભટ્ટનો સ્વર્ગવાસ પણ તમને ને મને એટલો જ દુઃખદ હશે. તેમનો પરિચય મને બહુ થોડો હતો. તેમની મદદ અત્યારે આપણને નથી એ પણ જેવીતેવી ખોટ નથી. ઈશ્વર બન્નેનાં કુટુંબને ધીરજ ને શાંતિ બક્ષો, અને આપણે તેમના દુઃખના ભાગીદાર છીએ એ વાત તેમનું દુઃખ હળવું કરો.
મેં અનેક વેળાએ જાહેર કર્યું છે કે મહાસભાએ દેશી રાજ્યોને લગતા પ્રશ્નોથી સામાન્ય રીતે અલગ રહેવું જોઈએ. બ્રિટિશ હિન્દુસ્તાનની પ્રજા પોતે સ્વતંત્રતા મેળવવા મથી