આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૦]


ગામના માણસો વાતો કરવા લાગ્યાઃ “આ કવિતા વળી કઈ જાતની ?”

ભાણો દરજી કહે: “આ તે નવરાતરમાં ભવાઈમાં બોલે છે એ.”

રઘો કહેઃ “ત્યારે આ માસ્તર ભવાયા હશે કે ભવાઈ શીખવવા આવ્યા છે !”

છોકરાઓની માતાઓ કહે: “આ નિશાળમાં બાયડીઓનાં ગીતો શા સારુ ગવરાવો છો ?”

આાપણે તો આ બધું કાન તળે જ કાઢતા હતા. એવું સાંભળીએ તો ચાલે જ ક્યાં ? આપણે તો ઝુકાવવું જોઈએ. નવા ચીલાઓ એમ જ પડે.

રોજ રોજ નવી નવી કવિતાઓ છોકરાઓ પાસે ગાવા લાગ્યો ને તેમને ગમતી કવિતાઓ નક્કી કરવા લાગ્યો. એમ કરતાં પાંચપંદર ગીતો તો ઘણાને મોઢે થઈ ગયાં. હા, બેચાર છોકરા એવા હતા જેમને સંગીત ન ગમતું, તેએા તે વખતે વાંચતા કે લખતા; અને હું તેમની ચિંતા ન કરતો.

મારા મનમાં હું દાંડિયારાસને પણ દાખલ કરવાનો વિચાર કરી રહ્યો હતો.

હમણાં શાળામાં લગભગ આ પ્રમાણેનું કામ ચાલતું હતું: વાર્તાનું કથન, વાચનાલય, આદર્શ વાચન, રમતો, ડિકટેશન, કવિતાશ્રવણ, સ્વચ્છતા અને પ્રાર્થના.


 : ૬ :

એક દિવસ એક પરમહંસ બાવા આવ્યા. તેમની સાથે હેડમાસ્તર હતા. હેડમાસ્તરે તેમનું એાળખાણ કરાવ્યું: “આ મહારાજજી ધર્મોપદેશનું કામ કરે છે. રાજ્યની દરેક શાળામાં તેઓને ઉપદેશ કરવાની સગવડતા મળી છે. આજે તેઓ આપણા સાહેબની ચિઠ્ઠી લઈ આ શાળામાં ઉપદેશ કરવા આવ્યા છે.”