આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२०


‘ દ્વિરેફની વાતો'માં હાસ્યના વિવિધ પ્રકાર હોવા છતાં જવલ્લે જ ગ્રામ્યતા કે અધમતા લાગશે. મોટે ભાગે તો એમનો હાસ્ય આપણા પ્રાચીનો જેને ઉત્તમ કહે છે તેવો છે, જોકે ઠેકાણે ઠેકાણે પ્રાચીનો ઉત્તમ ન ગણે છતાં આજના જમાનામાં સુરુચિનો ગણાય એવા હાસ્યનાં પણ દષ્ટાંત છે.

આ પ્રમાણે ઘણી વાતોમાં હાસ્યનાં મિશ્ર રૂપો મુખ્ય હોવા છતાં જે વાતોમાં હાસ્ય મુખ્યભાવ નથી તે વાર્તાની કુશળતા ઓછી નથી. કદાપિ વાર્તાનાં સકળ અંગોની દૃષ્ટિએ વિચારીએ તો આ થોડીક વાર્તાઓને ‘જમનાનું પૂર’, ‘મુકુન્દરાય’, ‘નવો જન્મ’ અને ‘ખેમી'ને પ્રથમ સ્થાને મૃકવી પડે.

આ સંગ્રહમાં પહેલી વાર્તા ‘એક પ્રશ્ન'નું સૂચન સ્ટ્રેન્ડ મેગેઝિનની કોઇક વાર્તા ઉપરથી મળેલું એમ લેખક જણાવે છે. પણ આ સૂચનને જે રીતે મૂર્ત કર્યું છે તે રીત તેમની પોતાની છે. આખી વાર્તા એક મજાકરૂપે રજૂ થાય છે; સર્વ પ્રકારના શાસ્ત્રીઓને સંબોધન કરી કવિ ન્હાનાલાલની ઍક કડીના અનુકરણથી વાર્તાનો નાયક પેાતાની મંઝવણ રજૂ કરે છે :

આવો શાસ્ત્રી તમ પગલે પાવન થવું રે લોલ,
પ્રાણ  રૂંધન્તા  પ્રશ્ન પદે ઠારવું રે લોલ.

ડાહ્યલા નામનો નોકર સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો તેને કોણે વાર્યા એ પ્રશ્ન છે. ઘરમાં બધાએ——ભાઇ, બહેન, ભાભી, મા, મોટાભાઇ, મોટાભાભી—દરેક જણ એમ માને છે, કે પાતે જ ડાહ્યલાને વાર્યો છે ! આ વાર્તાની કુશળતા દરેક જણ એકનો એક દાવો કેટલી જુદી જુદી રીતે ખાતરીથી રજુ કરે છે તેમાં દેખાઈ આવે છે; આ રજુઆત થતાં થતાં આજના ગુજરાતી કુટુમ્બનું છૂટવાળું અને સંસ્કારી વાતાવરણ પણ ઊભું થઈ જાય છે; આખુંએ વાંચતાં મન સ્મિત કર્યા કરે