આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
२७


ગુંગળાવી નાખે છે અને છેવટે તેને એ સ્થિતિમાં લાવી મૂકે છે કે સરકારી નોકરીના યંત્રમાં રહી લખ લખ કર્યા જ કરવું એ જ એના માટે જીવનનું સારામાં સારું કામ રહે છે! આ બીજ વરનું લગ્નજીવન પ્રહસનની અતિશયતાથી દોરેલું છે છતાં એની પાછળ એક સંસ્કારી આત્મા કેવી રીતે હેરાન થતો જાય છે એનું બહુ જ સુક્ષ્મ અને વાસ્તવિક દર્શન રહેલું છે. સારી વસ્તુ પણ મર્યાદામાં સારી લાગે છે. સતીની સેવાઓ પણ મર્યાદાસર હોય તો જ માફક આવે. આદિથી અંત સુધી હસવું ચાલ્યા જ કરે છે. જડ થઈ ગયેલા રિવાજની આટલી સમર્થ મશ્કરી જવલ્લે જ જોવા મળે છે !

‘શો કળજગ છે ના ! ’–બાલજીવનની કથા છે, પણ બાળકો માટેની કથા છે એમ મને નથી લાગતું. નિર્દોષ ગણાતાં બાળકો નિર્દોષ રીતે સ્વાર્થી હોય છે અને નિયંત્રણ ન હોય તે માત્સ્યન્યાયની સ્થિતિ સ્વાભાવિક છે તેનું હાસ્યભરેલું ચિત્ર છે! પણ બાળકોના સ્વભાવ પાછળ કુટુંબ અને માબાપ છે તેનો વિચાર કરીએ તે આપણું કુટુંબજીવન કેટલા સાધારણ ધોરણ ઉપર ચાલે છે તેનો કરુણ ખ્યાલ આવે.

બાલજીવનની આ વાર્તામાં પ્રત્યેક છોકરા અને છોકરીનો સ્વભાવ કેટલી સુરેખ અને સરલ રીતે દર્શાવ્યો છે તે ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.

‘ જક્ષણી ’ એ પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર છે. આખી વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ પત્નીના મુખે કહેવાય છે, બીજો ભાગ પતિના મુખે કહેવાય છે, અને ત્રીજો ભાગ ફરીથી પત્નીના મુખે કહેવાય છે.

મિત્રના ઘેર તેની પત્નીની સારવાર કરવા પોતે જવાનાં છે, એ બીના પ્રથમ ભાગમાં પત્ની પતિને જણાવે છે, બીજા ભાગમાં પત્ની વિના એકલવાયો થઈ ગયેલો પતિ