આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
બે ભાઈઓ.

ઓછાં થવાય છે ! તે અમે તો ગમે તેટલું ખરચ કરીને પણ તેની પછવાડે નીલ પરણાવશું. બીજું શું કરીએ ? આટલા ભેગું એટલું !”

જીવરામે નીલ પરણાવી, ને નાત કરી, ઑફિસને સરનામે રાજારામને કાગળ લખ્યો કે તેમાં બૈરીને વશ થઈ ગયાનું એક વધારાનું મહેણું માર્યું. રાજારામે, ભાઇની કેવળ દયા ખાઈને, સંતોકથી છાના, બસેં રૂપિયા કકડે કકડે જીવરામને મેાકલી આપ્યા.

છતાં જયંતીને સારું થયું નહિ, પણ તેથી જીવરામનું શાસ્ત્ર ખોટું પડ્યું નહિ. “એનો બાપ કરે ને એને જેવું પહોંચે તેવું કાંઈ અમે કરીએ તે પહોંચે?” થોડા સમયમાં, જયંતીનું સગપણ કર્યું હતું તે કન્યા પરણાવવા જેવડી થઈ. જયંતીને પારકો કરીએ તો બીજાને નસીબે જીવે એમ કહી તેમણે તેને પરણાવ્યો, પણ પરણ્યા પછો વરસમાં તો એ શરીરે ખવાતો ખવાતો છેવટે મરી ગયો. એક ભયંકર આપત્તિની ગુપ્ત વાતના વધતા જતા બોજાએ, એ પણ જાણે અનેક વિપત્તિઓ અને માનસિક યાતનાઓમાં ધીમે ધીમે કળતો કળતો તરફડિયાં મારતો મરી ગયો. તેની પાછળ તેનાં માબાપ પણ બે ત્રણ વરસમાં વાંસામોર મરી ગયાં. પણ મરી જતાં સુધી તેમણે નાતનું, ધર્મનું, શાસ્ત્રનું, અને રાજારામની અશ્રદ્ધાનું રહસ્ય સમજાવ્યા કર્યું અને ઠેઠ સુધી તેમને સાંભળનારા મળી રહ્યા ! ! એમના જીવનની એ સફળતાની કોઈથી ના પડાય એમ નથી !

આજ સુધી સંતોક, લીધેલા પણ પ્રમાણે કદી અદાવડ ગઈ નથી અને તેથી રાજારામ પણ ગયો નથી. યજમાનો ધીમે ધીમે બીજે વળી ગયાં છે, અને રાજારામની સિફારસથી ઑફિસમાં રહેતા ગામના માણસો ગરાસની વ્યવસ્થા કરી આપે છે, તથા રાજારામ તરફથી જોઈતું કરતું પૂરું પાડે છે; અને તેથી જયંતીની વિધવાનો નિર્વાહ ચાલે છે.