મારા બ્રહ્મચર્યના ધ્યેય પ્રમાણે તમારી સાથે હમેશાં વર્ત્યો છું. તમારી
સ્થિતિ માટે હું જવાબદાર નથી. તમને મહાત્માજી પૂછશે ત્યારે
શું કહેશો ?”
“કહીશ કે તમે નિર્દોષ છો.”
“ત્યારે કયો પુરુષ જવાબદાર છે એમ પૂછશે ત્યારે શું કહેશો ?”
“સાચું નામ દઈશ.”
“કોનું ?”
સરસ્વતી જમીનમાં ઊતરી જતી હોય એમ કહ્યું, “રતિલાલનું.”
“ઠીક ત્યારે, ચાલો. આજે રાતે ઊપડીશું.”
સવારમાં બન્ને આશ્રમમાં પહોંચ્યાં. બન્ને આ પહેલાં ઘણીવાર આવેલાં પણ આ વખતે જાણે બન્ને તહોમતદાર તરીકે કાચી જેલમાં પડ્યાં હોય એમ અસ્વસ્થ હતાં. જગુએ તરત મહાત્માજી શું કરે છે તેની તપાસ કરી ચિઠ્ઠી લખી. તેમાં લખ્યું હતું કે ‘બહેન સરસ્વતીને બોલાવી પૂછશો તો બધી બાબતનો ખુલાસો થઈ જશે. અને હું આમાં જવાબદાર નથી એમ સાબીત થશે. આજ્ઞા હોય તો હું સાથે આવું.”
એક જ્વાળામુખીમાં એકદમ ભડકો થઈ અંદર જ શમી જાય તેમ મહાત્માજીને થયું. તેમણે કહેવરાવ્યું કે જગજીવન પોતે જ પહેલા આવે. અને ખંડમાંથી બીજાઓને વિદાય કર્યા. જગજીવન આવ્યો, તેને પોતાની સામે બેસવાની જગા આંખથી બતાવી, તે બેઠો એટલે કહ્યું :
“કેમ, તમારે શું કહેવું છે?”
“હું નિર્દોષ છું.”
“કેમ, તમે કોઈવાર સરસ્વતીને એકાન્તમાં ન મળતા?”
“મળતો. પણ—”