આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
પેાતાનો દાખલો.

એક સામટાં અમારા પર પડી અનેક ગણાં મોટાં ભારે અને વસમાં થઈ અમને વધારે અસાધારણ બનાવવા લાગ્યાં !”

આશુતેષે કહ્યું: “આ માણસ તો આમ બસ પોતાને જે પ્રેમપ્રસંગ અત્યારે નથી ગમતો તેની મશ્કરીઓ જ કર્યાં કરશે તે નહિ ચાલે. અમારે વાર્તા સાંભળવી છે.”

મેં કહ્યું: “સાંભળો પ્રજ્ઞેશ ! અમારે તમારા એ પ્રેમ વિષેના અભિપ્રાયો કે કટાક્ષો નથી સાંભળવા. અમને તો એ જણાવો કે તમે ભેગાં થતાં ત્યારે શું કરતાં, શી વાતો કરતાં. એ જણાવો.”

પ્રજ્ઞેશઃ “હા, હા ! ખુશીથી. એ આવતી ત્યારે તેને આવકાર આપવા અથવા પ્રેમ બતાવવા હું ઊભો થતો, જરા સામો જતો, ને એ કહેતી ‘મારા સમ!’ ને સાથે હું પણ કહેતો ‘મારા સમ !’ જો કે હું શેને માટે સમ ખાતો હતો તે સ્પષ્ટ સમજી શકતો નથી. હું માનું છું, એક બીજાના પ્રેમનો અને લાગણીનો પડઘો પાડવાની અમને ટેવ પડી ગઈ હતી. ઘણીવાર—”

આશુતોષ : “એમ નહિ. તમે કોઈવાર ભેટતાં નહિ, કાઈવાર ચુંબન કરતાં કે નહિ ?”

પ્રજ્ઞેશઃ “તમને તો વાર્તા કરતાં કશોક બીજો જ રસ આવતો જણાય છે. પણ અમે બહુ ભેટતાં નહિ. અત્યંત દુઃખમાં અમળાતાં, એક બીજાનો હાથ ઝાલતાં, એક બીજાને છાનાં રાખવા માથે હાથ ફેરવતાં, દુઃખને લીધે જમીન પર ઢળી પડતાં, પણ ભાગ્યે જ ભેટતાં કે ચુંબન કરતાં. એટલે સુધી જતાં અમને હમેશાં ભય લાગતો, પણ વિશેષ તો એ કે તૃપ્તિ મેળવવા કરતાં અતૃપ્તિની આર્તિ વધારવામાં જ અમને અમારા પ્રેમનું સાર્થક્ય લાગતું. દુઃખ એ જ પ્રેમનું સાચું સ્વરૂપ લાગવાથી અમે દુઃખ વધારવામાં જ અમારી પ્રતિભા અને પ્રેમની પ્રેરણા વાપરતાં.