આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




બે ભાઈઓ

જીવરામ અને રાજારામ બન્નેનો સ્વભાવ જાણનાર કોઈ ન માને કે બન્ને એક જ માના પેટમાં આળોટ્યા હશે. જીવરામ ટૂંકા મનનો, સ્વાર્થી, ઊંડો, ઈર્ષ્યાળુ અને કપટી હતો. રાજારામ ખુલ્લા દિલનો, હસમુખો, સાહસિક, મળતાવડો અને નિખાલસ હતો.

તેમની મા વહેલી મરી ગઈ હતી. બાપ ગુજરી ગયો ત્યારે જીવરામ વીસ વરસનો અને રાજારામ ચૌદ વરસનો હતો. ઘરનો નભાવ થોડા ગરાસથી અને યજમાનવૃત્તિથી થતો. બાપ મરી જતાં જીવરામે ગરાસ અને યજમાનો સંભાળી લીધાં. જીવરામની દાનત રાજારામ ભણતો હતો તે ભણાવી, કોઈ થોડે દૂર નિશાળમાં માસ્તરગીરી કરવા મોકલી ગરાસ અને યજમાનની ઘરાકી પચાવી પાડવાની હતી. રાજારામ જ્યારે જ્યારે દૂર સંસ્કૃત ભણવા જવાનું કહે, ત્યારે જીવરામ ભાઈ ઉપર ખૂબ વહાલ દેખાડી, બાપે સોંપ્યો છે તે નજરથી દૂર જાય એ ખમાતું નથી, કહી તેને જવા ન દે. તેણે તેને પોતાના ગામ અદાવડમાં જ ગુજરાતી ભણાવ્યા કર્યું.