આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१६

દાખલામાં મૂળમાં એ તારીખ છેવટે આપવામાં આવી હોય તોપણ અહીં ઉપર જણાવેલી રીત જ અખત્યાર કરવામાં આવી છે. જયાં મૂળમાં તારીખ આપવામાં આવી ન હોય ત્યાં અંદાજે તારીખ નક્કી કરી તે ચોરસ કૌંસમાં આપી છે અને જરૂરી જણાયું છે ત્યાં તે ઠરાવવાનાં કારણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. લખાણને અંતે મૂકવામાં આવેલી તારીખ તેના પ્રસિદ્ધ થયાની છે. અંગત પત્રની બાબતમાં જેને સંબોધીને તે લખાયો હોય તે વ્યક્તિનું નામ બધે એક જ ઢબે મથાળે મૂકવામાં આવ્યું છે. જે સાધનમાંથી આપવામાં આવેલી બાબત લેવામાં આવી હોય તેનો ઉલ્લેખ તેને છેડે કરવામાં આવ્યો છે. નામોની જુદી જુદી જોડણી મૂળમાં જેવી હોય તેવી રહેવા દીધી છે.

મૂળ લખાણના પરિચયની શરૂઆતની ઈટાલિક અક્ષરમાં આપવામાં આવેલી નેાંધ,[૧]પાનાને તળિયે આપેલી ફૂટનોટ, તેમ જ મૂળ લખાણની વચ્ચે ચોરસ કૌંસમાં મૂકેલા શબ્દો સંપાદકોનાં છે. લખાણની વચ્ચે ગોળ કૌંસમાં આવતું વસ્તુ મૂળમાંનું છે. જયારે જયારે મૂળમાં ગાંધીજીએ બીજાં સાધનોમાંથી અથવા કેટલીક વાર પોતાનાં લખાણો કે હેવાલો કે નિવેદનોમાંથી ઉતારા લીધા છે ત્યારે તે બધા ફકરા નાના અક્ષરનાં બીબાંમાં થોડા અંદરથી છાપવામાં આવ્યા છે.[૨]

પાનાને તળિયે મૂકવાની નોંધ બને તેટલી ઓછી કરવાના હેતુથી સ્થળોને લગતી નોંધ, વ્યક્તિઓની ઓળખની નોંધ, કાયદાઓને લગતી નોંધ, વધારે વિસ્તારવાળા ઉલ્લેખો અને બિનઅંગ્રેજી શબ્દોની [૩] યાદી પુસ્તકને અંતે આપવામાં આવ્યાં છે. દરેક પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણો જે ગાળામાં થયાં હોય તેને લગતી એક કાલાનુક્રમણિકા તેમાં આપી છે. લખાણ પ્રાપ્તિનાં સાધનોને લગતી નોંધ પણ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.

આ યોજનાનો અમલ ઓગણીસસો છપ્પનની સાલના ફેબ્રુઆરી માસમાં શરૂ થયેલો. તેનો મૂળ ખ્યાલ કરવાનું શ્રેય હિંદી સરકારની માહિતી અને રેડિયો ખાતાના મંત્રી શ્રી પી. એમ. લાડને ફાળે જાય છે. ઓગણીસસો સત્તાવનની સાલના માર્ચ માસમાં તેમનું અકાળે અવસાન થયું તે પહેલાં આ યોજનાના કામને સારા પાયા પર ગોઠવી દેવામાં તેઓ સહાયભૂત થયેલા.

આ પુસ્તકશ્રેણીની રચનાનું નિયમન કરવાનું અને તેને ઘટતે રસ્તે લેવાનું કામ એક સલાહકાર મંડળને સોંપવામાં આવ્યું છે. તેના મૂળ સભ્યો શ્રી મોરારજી ર. દેસાઈ (અધ્યક્ષ), શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી દેવદાસ ગાંધી, શ્રી પ્યારેલાલ નય્યર, શ્રી મગનભાઈ પ્ર. દેસાઈ, શ્રી જી. રામચંદ્રન, શ્રી શ્રીમન્નારાયણ, શ્રી જીવણજી ડા. દેસાઈ અને શ્રી પી. એમ. લાડ હતા. ગાંધીજીના જીવન તેમ જ કાર્યની સાથે ગાઢ રીતે સંબંધમાં આવેલા લોકોની સલાહ તેમ જ તેમના અનુભવનો લાભ યોજનાને મળે તે હેતુથી આ સલાહકાર મંડળ રચવામાં આવ્યું હતું.

લખાણો, ભાષણો અને પત્રો વગેરે બધી સામગ્રી એકઠી કરવાની અને પુસ્તકોના સંપાદનની વ્યવસ્થા એક મુખ્ય સંપાદકને સેપવામાં આવી છે. શ્રી ભારતન કુમારપ્પાને મુખ્ય સંપાદક નીમવામાં આવ્યા હતા એને પાછળથી તેમને સલાહકાર મંડળમાં પણ લેવામાં આવ્યા હતા. ઓગણીસસો સત્તાવનની સાલના જૂન માસમાં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે અસાધારણ ભક્તિભાવથી કાર્ય કર્યું. તેમના અવસાન પછી આ યોજના મુજબનું પહેલું પુસ્તક


  1. ૧. अक्षरदेहમાં આ નોંધ માત્ર મોટા કૌંસમાં મૂકી છે.
  2. ૨. अक्षरदेहમાં અક્ષરો સરખા જ રાખ્યા છે.
  3. ૩. अक्षरदेहમાં આ યાદી રાખી નથી.