આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૨૩. શાકાહાર અને બાળકો

મિ. એમ. કે. ગાંધી એક અંગત પત્રમાં લખે છે :

“તાજેતરમાં રેવરન્ડ એન્ડ્રયુ મરેના પ્રમુખપદે કેસ્વિક ખ્રિસ્તીઓનો એક ભવ્ય સમારંભ વેલિંગ્ટનમાં થયો હતો. કેટલાંક પ્રિય ખ્રિસ્તી મિત્રોની સંગાથે હું પણ તેમાં હાજર રહ્યો હતો; તેમનો એક છ સાત વર્ષનો બાળક છે. તે અરસામાં તે મારી સાથે એક દિવસ બહાર ફરવા નીકળ્યો. હું માત્ર તેની સાથે પ્રાણીઓ પર દયા રાખવા વિષે વાત કરતો હતો, તે વાતમાં અમે શાકાહારના સિદ્ધાંતની ચર્ચાએ ચડી ગયા. મને જણાવવામાં આવ્યું છે કે ત્યારથી તે બાળકે માંસ ખાધું નથી. ઉપર જણાવેલી વાતચીત અમારે થઈ તે પહેલાં ભોજનના ટેબલ પર કેવળ નિરામિષ વાનીઓ મને લેતો તે જોયા કરતો અને હું માંસ કેમ નથી ખાતો તે મને પૂછતો. તેનાં માબાપ જાતે, શાકાહારી નથી છતાં શાકાહારના ગુણ સમજે છે અને તેમના બાળક સાથે તેની વાત હું કરું તેમાં વાંધો લેતાં નહોતાં.

“શાકાહારના મહાન સત્યની પ્રતીતિ બાળકોને કેટલી સહેલાઈથી કરાવી શકાય છે અને તેમનાં માબાપને ફેરફાર કરવાની સામે વાંધો ન હોય તો તેમને માંસ છોડી દેવાને કેટલી સહેલાઈથી સમજાવી શકાય છે તે બતાવવાને હું આ લખું છું. એ બાળક અને હું હવે ઘાડા મિત્રો બન્યા છીએ. હું તેને ઘણો ગમી ગયો હોઉં એવું લાગે છે.

“પંદરેક વરસની ઉંમરનો બીજો છોકરો જેની સાથે મારે વાત થઈ તેણે મને કહ્યું કે હું કદી પક્ષીને મારતો નથી અથવા તેને હલાલ થતું જોઈ શકતો નથી પણ તે ખાવામાં મને વાંધો લાગતો નથી.”

[મૂળ અંગ્રેજી] धि वेजिटेरियन, ૫–૫–૧૮૯૪


૨૪. ધર્મ વિષે સવાલો

[ગાંધીજીને : શ્રી રાજચંદ્ર રવજીભાઈ મહેતા ઉર્ફે રાયચંદભાઈને વિષે ઘણો આદર હતો. તેઓ એક જૈન તત્ત્વચિંતક હતા અને सत्यना प्रयोगो अथवा आत्मकथाના બીજા ભાગનું પહેલું પ્રકરણ આખું ગાંધીજીએ તેમને વિષે લખ્યું છે. ૧૮૯૪ની સાલના જૂન માસ પહેલાં પ્રિટોરિયાથી લખેલા પત્રમાં તેમણે રાયચંદભાઈને ધર્મને લગતા કેટલાક સવાલ પૂછયા હતા. મૂળ પત્રનો પત્તો અમે મેળવી શકયા નથી તેથી ગાંધીજીએ પૂછેલા સવાલો રાયચંદભાઈના ભાઈ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતાએ સંપાદિત કરેલા ગુજરાતી પુસ્તક श्रीमद राजचंद्रની ૧૯૧૪ની આવૃત્તિમાં ૨૯૨ અને તે પછીનાં પાનાંઓ પર પ્રસિદ્ધ થયેલા રાયચંદભાઈના જવાબમાંથી ઉતારવામાં આવ્યા છે. અસલ લખાણ બતાવે છે કે પુછાયેલા બીજા થોડા સવાલ છોડી દેવામાં આવ્યા છે અને તેથી તેમનું લખાણ મળી શકતું નથી.]