પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
મિ. ચેમ્બરલેનને અરજી


બ્રિટિશ પ્રજાજન સાથે સમાન दरज्जो ઇચ્છે, જેનું આશ્વાસન મહામના સમ્રાજ્ઞીએ હિંદીઓને અનેક વાર આપ્યું છે. અને ભૂતપૂર્વ મુખ્ય સંસ્થાન મંત્રીના એક ખાસ ખરીતા મારફતે સમ્રાજ્ઞીની સરકારે હિંદી કોમને આ ખાસ આશ્વાસન આપેલું છે જો અમુક લાયકાતો ધરાવતાં બીજાં બ્રિટિશ પ્રજાજનો હકપૂર્વક મતાધિકાર માગી શકતાં હોય તો આપના અરજદારો નમ્રપણે પૂછે કે તો પછી હિંદી બ્રિટિશ પ્રજાજનો શા માટે એ માગી નહીં શકે?

આ પદ્ધતિ અટપટી છે અને તેનાથી મતાધિકારનું આંદોલન કાયમને માટે જાગતું રહેવાને ઉત્તેજન મળશે. એ ઉપરાંત એનાથી આ આંદોલન યુરોપિયનોના હાથોમાંથી ખસીને હિંદીઓના હાથમાં જશે. વિધાનસભામાંના બીજા વાચન સમયનાં ભાષણો ઉપરથી દેખાય છે કે કાઉન્સિલ સાથે રહીને જો ગવર્નર સત્તા વાપરશે જ તો તે બહુ સાચવી સાચવીને જ હશે.

એવી ગણતરી છે કે એનાથી હિંદી કોમમાં અંદર અંદરના ઝઘડા પેદા થશે. કારણ કે જે અરજદારને નામંજૂર કરવામાં આવ્યો હોય તે જો પોતાની જાતને જેના તરફ મહેરબાની બતાવાઈ છે તેવા સાથી અરજદારની બરાબર સમજતો હશે તો એથી જરૂર નારાજ થવાનો.

આપ મહાનુભાવના મતાધિકારના પ્રશ્ન અંગેના ખરીતામાં કેળવણી, બુદ્ધિમત્તા અને મિલકતને હિંદીઓને મતાધિકારનો હક આપનારાં કારણો તરીકે ગણાવવામાં આવ્યાં છે. આપના અરજદારોનું કહેવું એ છે કે જે અમુક પ્રમાણની કેળવણી, બુદ્ધિમત્તા અને મિલકત જે સંસ્થાનમાં એક હિંદીને માટે મતદાર બનવાની લાયકાત માટે પૂરતાં થતાં હોય તો પછી એ સત્તા ગવર્નરના હાથમાં છોડવાને બદલે આવી કસોટી જારી કરી શકાય. અહીં આપના અરજદારો આપનું ધ્યાન આ પહેલાં ટાંકવામાં આવેલા नाताल मर्क्युरीના અગ્રલેખનાં એક ભાગ તરફ દોરવા માગે છે. જો એ વિધેયકના અમલ નીચે આવનારાઓ માટે જરૂરી લાયકાતો દર્શાવવામાં આવી હોત તો તેનાથી વિધેયકના તે ભાગનું ચર્ચાસ્પદ સ્વરૂપ નાબૂદ થઈ જાત, અને એના અમલ નીચે આવનારાઓને ચોક્કસપણે ખબર પડત કે તેમને મત આપવાને લાયક બનાવવા માટે કેવી લાયકાતો જોઈશે ૮મી મેના नाताल एडवर्टाईझरમાં પરિસ્થિતિ ટૂંકામાં સારી રીતે રજૂ કરવામાં આવી છે:

હાલના વિધેયકની બેવડી ચાલની હજી એક વધુ સાબિતી એની એ જોગવાઈમાં રહેલી છે કે અમુક હિંદીઓને મતદારોની યાદી ઉપર મૂકવાનો અધિકાર કાઉન્સિલ સમેત ગવર્નરને રહેશે. દેખીતી રીતે જ આ કલમ શાહી સરકારને એવું મનાવવાના હેતુથી સામેલ કરવામાં આવી છે કે નિયમમાં અપવાદ કરવાનો આ અધિકારનો પ્રસંગોપાત્ત ઉપયોગ કરવામાં આવશે, એનો ઉપયોગ કોઈ કોઈ વાર જ થશે; પરંતુ થશે તો ખરો જ. આમ છતાં ઍટર્ની જનરલે જાહેર કર્યું કે, "આ વિધેયક નીચે આ સંજોગોમાં અપાયેલો મતદાર યાદીમાં સામેલ કરવાનો અધિકાર કોઈ પણ રીતે કાઉન્સિલ સમેત ગવર્નર મારફતે

જ પ્રાપ્ત થઈ શકે એમ છે. એ સિવાય બીજી રીતે પ્રાપ્ત થઈ શકે એમ નથી. મંત્રીઓની જવાબદારીનો સાચો અર્થ શો હતો તે કોમના દરેક વર્ગે સમજવા માંડયું હતું, અને તેઓ એ વાત બહુ સારી રીતે જાણતા હતા કે જે મંત્રીઓ હિંદી મતદારોને મતદારયાદી ઉપર દાખલ કરીને મતદારમંડળને નબળાં બનાવવાની જવાબદારી પોતાને માથે ઓઢી લે તો તેઓ ચૌદ દિવસ પણ પોતાની ખુરશી પર ટકી નહીં શકે." એમણે આગળ કહ્યું, "સારા દક્ષિણ આફ્રિકામાં આના સિવાય કોઈ બીજો અવાજ હશે નહીં કે દેશની મતદારયાદી માત્ર યુરોપિયન જાતિના લોકો પૂરતી જ મર્યાદિત રાખવી જોઈએ. આ જ વાતથી અમે