આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
- ઘણા તો ૧૪ કરતાં પણ વધારે વર્ષથી અહીં રહેલા છે. જે લોકો આ પ્રશ્નનો નિકાલ આવેલો જોવા ઇચ્છે છે એમને માટે બ્રિટિશ હિંદી મતદારોની યાદીનું ધંધા પ્રમાણેનું પૃથક્કરણ ખૂબ જ ઉત્સાહજનક પરિણામો લાવનારું છે.
- હિંદમાં બરાબર આ જ વર્ગના લોકો મ્યુનિસિપલ અને બીજા મતદારમંડળોમાં સૌથી મહત્ત્વનું અંગ બનતા હોય છે. એવી જે દલીલ કરવામાં આવે છે કે નાતાલમાંના હિંદીઓ જે ખાસ હકો હિંદમાં ભોગવે છે તેના કરતાં વધારે હકોનો દાવો નહીં કરી શકે અને તેઓ હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર ધરાવતા નથી તેનો સાચી બીના સાથે કોઈ મેળ નથી. . . . જેટલે અંશે હિંદમાં મતાધિકારનું શાસન અસ્તિત્વમાં છે તેટલે અંશે અંગ્રેજો અને હિંદીઓ બંને સમાન કક્ષા ઉપર છે. અને મ્યુનિસિપલ, પ્રાંતીય અને સર્વોચ્ચ ત્રણે કાઉન્સિલોમાં હિંદીઓનાં હિતોને એકસરખું મજબૂત પ્રતિનિધિત્વ અપાયેલું છે. એ દલીલ પણ કસોટીમાં ટકતી નથી કે બ્રિટિશ હિંદીઓ પ્રતિનિધિત્વવાળા શાસનનું સ્વરૂપ અને જવાબદારીઓથી અપરિચિત છે. કદાચ દુનિયામાં એવો એકે દેશ નહીં હોય જયાં પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ લોકોના જીવન સાથે આટલી સરસ રીતે ઓતપ્રોત થઈ હોય. . . .
- હાલમાં મિ.ચેમ્બરલેન સામે જે પ્રશ્ન ખડો થયો છે તે कोई खाली सिद्धांतनो प्रश्न नथी. ए दलीलनो प्रश्न नथी पण जातिविषयक भावनानो छे. साम्राज्ञीना १८५८ना ढंढेराथी हिंदीओने ब्रिटिश प्रजाना पूरा हको अपायेला छे. अने तेओ इंग्लंडमां अंग्रेजो साथे समान रीते मत आपे छे अने ब्रिटिश पार्लामेन्टमां सभासद बने छे. પરંતુ ઘણી પ્રજાઓના બનેલા વિશાળ સામ્રાજ્યમાં આ પ્રશ્નો અનિવાર્ય છે અને જેમ જેમ વરાળયંત્રથી ચાલતાં જહાજો બૃહત્તર કહેતાં વ્યાપક બ્રિટનની જદી જુદી પ્રજાઓને એકમેકના ગાઢ પરિચયમાં લાવતાં જાય છે તેમ તેમ એ પ્રશ્નો વધારે ઉગ્ર સ્વરૂપમાં આગળ આવશે. બે ચીજો સ્પષ્ટ છે. આવા પ્રશ્નો તરફ નિષ્કાળજી કરવાથી કાંઈ તેમનો આપમેળે ઉકેલ આવશે નહીં અને બ્રિટનમાં બેઠેલી મજબૂત સરકાર એ પ્રશ્નનો અંગે ન્યાય આપવા માટેની ઉત્તમ અપીલ-કોર્ટનું કામ કરી શકે છે. आपणी पोतानी प्रजाओ वच्चेनी लडाई आपणने पालवी शके एम नथी. હિંદી સરકાર માટે, નાતાલમાં મજૂરો મોકલવાનું બંધ કરીને તેની પ્રગતિને એકાએક રોકી દેવાનું એટલું જ ભૂલભરેલું થશે જેટલું નાતાલ માટે બ્રિટિશ હિંદી પ્રજાના નાગરિક હકોની ના પાડવાનું થશે. આ હિંદીઓએ વર્ષોની કરકસર અને સંસ્થાનમાં કરેલાં સારાં કાર્ય વડે નાગરિકના સાચા दरज्जा સુધી પહોંચવા જેટલી ઉન્નતિ કરી છે. (બધી જગ્યાએ નાગરી તમારા અરજદારોએ કર્યું છે.)
હવે તમારા અરજદારો પોતાની ફરિયાદ તમારા હાથમાં છોડે છે અને એમ કરતાં ખરા દિલથી વિનંતી કરે છે અને શ્રદ્ધાપૂર્વક આશા રાખે છે કે પ્રસ્તુત વિધેયકને સમ્રાજ્ઞીની મંજૂરી મળશે નહીં, અને જો યુરોપિયન મતને હિંદી મત ડુબાવી દે એવું કોઈ જોખમ રહેતું હોય તો એ વાતનો નિર્ણય કરવાને એક તપાસપંચ નીમવાને હુકમ કાઢવામાં આવે કે હાલના કાનૂન નીચે એવું કોઈ જોખમ ખરેખર મોજૂદ છે કે નહીં, અથવા એવી કોઈ બીજી રાહત આપવામાં આવે જેથી ન્યાયનો હેતુ બર આવે.