આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એટલી શિખામણ દઈ

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે...એટલી.

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે...એટલી.

બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો,
ને અરસપરસ થયા એકતાર રે..એટલી.

નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું,
ને મળી ગયો હરિમાં તાર રે...એટલી.