આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નરકે જ પડે તેથી કુળ ન કુળઘાતકો;
પિતરોયે પડે હેઠા નમળ્યે પિંડતર્પણ. ॥૪૨॥

કુળઘાતકના આવા દોષે સંકરકારક
ઊખડે જાતિધર્મોને કુળધર્મો સનાતન. ॥૪૩॥

ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો
સદાયે નરકે વાસ—આવું છે સાંભળ્યું અમે ! ॥૪૪॥

અહો ! કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !
કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા ! ॥૪૫॥

ન કરતાં પ્રતીકાર મ’ને નિ:શસ્ત્રને હણે
રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મ’ને વધુ. ॥૪૬॥

સંજય બોલ્યા--
આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,
ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો. ॥૪૭॥