આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શ્રી ભગવાન બોલ્યા--
અતિ દુર્લભ આ મારા રૂપને તેં નિહાળ્યું જે,
 દેવોયે વાંછતા નિત્ય તે સ્વરૂપનું દર્શન. ૫૨

ન વેદોથી, ન યજ્ઞોથી, નહીં દાને, તપે નહીં,
દર્શન શક્ય આ મારું, જેવું આજે તને થયું. ૫૩

અનન્ય ભક્તિએ તોયે, આવી રીતે હું શક્ય છું
તત્ત્વથી જાણવો, જોવો, પ્રવેશે મુજમાં થવો. ૫૪

મારે અર્થે કરે કર્મ, મત્પરાયણ ભક્ત જે,
દ્વેષહીન, અનાસક્ત, તે આવી મુજને મળે. ૫૫