ગ્રામજનતા આમ વસતિના વધારાનો પણ ભોગ થઈ પડેલી છે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી જેવા દેશોમાં સંતતિવર્ધન તરફ પ્રજાનું લક્ષ દોરવામાં આવે છે. જ્યારે હિંદુસ્તાન જેવા ગરીબ દેશને તો સંતતિનિયમન એ મહા પ્રશ્ન થઈ પડ્યો છે. સંતતિનિયમનની જરૂર સહુ કોઈ સ્વીકારે છે. પરંતુ ગાંધીજીનો સંયમ માર્ગ અને અન્ય વિચારકનો સંતતિરોધક સાધનોના વપરાશનો માર્ગ, એ બન્ને વચ્ચે વિરોધ ઊભો રહે છે. ગાંધીજીનો માર્ગ ઉત્તમ છે એ ખરું, પરંતુ એને માટે જે ઉચ્ચ કક્ષાનું માનસ જોઈએ તે શિક્ષિત અને સંસ્કારી વર્ગમાં પણ નથી. એટલે ગ્રામજનતામાં તો એવું માનસ ક્યાંથી કલ્પી શકાય ? એવું માનસ જ્યાં સુધી વિકસે નહિ ત્યાં સુધી બ્રહ્મચર્યપાલનનનો આગ્રહ રાખી વસતિવર્ધન થવા જ દેવું કે વસતિનિરોધનાં સાધનોનો પ્રચાર કરવો એ પ્રશ્ન નિર્ણય માગે છે. સામાન્યતા તો એમ જ માને કે વસતિનિરોધ અર્થે સંતતિ થતી અટકાવવાનાં ભૌતિક અને શાસ્ત્રીય સાધનોનો ગ્રામજનતામાં પ્રચાર કરી નિરર્થક અને ભારરૂપ થઈ પડતી ગ્રામવસતિને વધતી અટકાવવી જોઇએ.
આને જ સંકળાઈને રહેલો બાલઉછેરનો પણ પ્રશ્ન અતિ મહત્ત્વનો છે. સંતતિનિયમન વધારેમાં વધારે વ્યક્તિગત પ્રશ્ન તરીકે લઈ શકાય. એને સામાજિક કે કાયદાબદ્ધ નિગ્રહનું સ્વરૂપ ઘણાં વર્ષ સુધી આપવું અશક્ય છે. એટલે બાળકોના જન્મ પણ થવાના અને બાળકોના ઉછેરના પ્રશ્નો પણ આપણે ઉકેલવાના રહ્યા.
પ્રમાણ
સને ૧૯૩૬ના બ્રિટિશ હિંદના નિવેદનમાં બ્રિટિશ હિંદના કેટલાક આંકડા આપેલા છે તે સુવાવડ અને બાલઉછેરની ગંભીરતાનો કંઈક ખ્યાલ આપે એમ છે. એક વર્ષમાં ત્રીસ લાખ ઉપરાંત