‘તમે તો જાણે જાન જોડીને આવ્યા હો એમ જાનીવાસો જ માગો છો કે શું ?’
‘જેમ ગણો તેમ. અત્યારે તો આ શ્રીભવન સિવાય આ ધરતી ઉપર અમારે બીજો કોઈ આશરો નથી.’
ભોળાભટાક સર ભગનને પ્રકાશેઠની દયા આવી. પણ એમણે એક સાવ સાચી ને નાજુક પ્રકારની મુશ્કેલી સમજાવી.
‘શેઠ, શ્રીભવનમાં તો આજકાલ કોઈને ઉતારો આપવા જેટલી જગ્યા જ ક્યાં રહી છે ?’
‘આ તો નાનાસરખા ગામડા જેટલો મોટો રજવાડી બંગલો છે.’
‘પણ એકેએક ઓરડા રોકાઈ ગયા છે.’
‘કોણે રોક્યા છે ?’
‘ભૂદેવોએ.’
‘ભૂદેવો !’
‘હા સહસ્ત્રચંડી યજ્ઞ માટે આવેલા ભૂદેવોએ એક તસુ જગ્યા પણ ક્યાં રહેવા દીધી છે ? બગીચામાં રાવટી-તંબૂ તાણવા પડ્યાં છે.’
‘તો અમારે માટે એક વધારે રાવટી તણાવો.’
‘તમને રાવટીમાં ઉતારો અપાય ?’
‘પેલા ભામટાઓને અપાય તો મને કેમ ન અપાય ? હું એ ગોરમહારાજોથી પણ ગયો ?’
‘નહિ નહિ, શેઠ. તમે ઊંધું સમજ્યા. હું તો એમ કહેવા માગતો હતો કે તમને રાવટીમાં ઉતારવામાં તમારો મોભો કેમ સચવાય ?’
‘અરે, મારો ઝાડુ મોભાના નામને.’
‘પણ તમારું સ્ટેટસ.’
‘અરે જહન્નમમાં ગયું સ્ટેટસ. અત્યારે તો હું શેરીએ રઝળતા ભિખારી જેવો થઈ ગયો છું.’