આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વખત વેરસી
૧૨૫
 


‘એલા અકલના ઓથમીર, તું કોની સામે આડો ઊભો છો એનું તને ભાન બળ્યું છે કાંઈ ? જલાલપર–બાદલાના પાઘડીબંધા નગરશેઠ હા !… જેની ખુડસી દરબારગઢની કચારીમાં દોલતસંગ બાપુની પડખોપડખ પડે, હા !… જેની મૂછ્યે લીંબુ લટકે ને જેના નામનાં અન્નછેતર હાલે એવા નગરશેઠના ઘરની જાન આવી છે. હા !… દોલતસંગ બાપુને ને નગરશેઠને એક જ થાળીમાં હાથ એવા જલાલપર–બાદલાના અરધા ગામધણી, હા ! આવા મોટા ખોરડાના ઘરની જાન આવી, એની આડે ઊભીને અપશકન કરાવતાં શરમાતો નથી. માળા મત્યફરેલ ?’

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઊભાઊભા સર ભગન આ બુમરાણ સાંભળી રહ્યા હતા. એમાં શુદ્ધ કાઠિયાવાડી ઉચ્ચારોમાં વારેવારે જલાલપુર–બાદલા ગામનો ઉલ્લેખ સાંભળી તેઓ ભડકી ઊઠ્યા.

જલાલપર–બાદલા ? અને તેમાંય પાછા ત્યાંના નગરશેઠ ?… સર ભગન ઘડીભર તો વિચારમાં પડી ગયા. એ સુપરિચિત ગામના સુપરિચિત નગરશેઠનુ નામ યાદ કરવા માથું ખંજવાળી રહ્યા ત્યાં તો એ શોરબકોરમાંથી જ એ નામોચ્ચાર સંભળાઈ ગયો.

‘એલા એય વાયલ ! જલાલપર–બાદલા જેવા ગામના નગરશેઠનું નામ પૂછતાં શરમાતો નથી, માળા મૂરખ ? તારો અવતાર એળે ગયો, અવતાર હા !… જલમ ધરીને કોઈ દી વખત વેરસીનું નામ કાને સાંભળ્યું છે કે નહિ ? જલાલપર–બાદલાને ચારેય સીમાડે વખતચંદ વેરસીના નામના સિક્કા પડે, હા !…વખત વેરસીના નામની હૂંડીનો સરગાપુરીમાંય સીકાર થાય, હા !…’

વખતચંદ વેરસી ?…નામ સાંભળીને જ સર ભગનનાં મોતિયાં મરી ગયાં. આ આફત અત્યારે અહીં ક્યાંથી ટપકી પડી ? ઘરણટાણે આ સાપનો હવે શો ઉપાય કરવો ?

‘સેવંતીલાલ !’ શેઠે બૂમ પાડી.