આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
ગ્રહાષ્ટક વત્તા એક
 

 આખરે સર ભગને સાચી વાત કરી જ દીધી.

આ સાંભળીને જાનૈયાઓનો ઉશ્કેરાટ બમણો વધી ગયો. સહુ એકી અવાજે પૂછી રહ્યા.

‘ખીમચંદને તમારે જમાઈ નથી બનાવવો, તો પછી એનું સગપણ શું કામ કર્યું હતું ?’

‘તોડી નાખવા જ.’ સર ભગને બીજી પેટછૂટી વાત હિંમતપૂર્વક સંભળાવી દીધી.

જાનૈયાઓનો ઉકળાટ ઓર વધી ગયો. એકસામટો ગોકીરો ઊઠ્યો :

‘તોડી નાખવા સારુ જ સગપણ કર્યું હતું ? બોલતાં શરમાતા નથી !’

‘આ શું બચ્ચાંના ખેલ સમજી બેઠા છો ?’

‘અમને શું ઉલ્લુ બનાવવા નીકળ્યા છો ?’

‘છોકરી પરણાવવી નહોતી તો એના ચાંદલા શા માટે કર્યા? જખ મારવા ?’

‘જખ મારવા નહિ, માથેથી ભાર ઉતારવા.’

‘ભાર ? શાનો ભાર ?’

‘નીચના ગ્રહનો.’

‘આ શી વાત કરો છો ?’

‘ભાઈ, અમારા ગિરજા ગોરે મને જે વાત કહેલી એ જ હું તમને કહું છું.’

‘શું કહ્યું હતું ગિરજા ગોરે વળી ?’

‘એણે મારી તિલ્લુની જન્મકુંડળી માંડીને કહેલું કે છોકરીના ગ્રહ તો બહુ સારા છે. ફક્ત એના પતિભવનમાં નીચના ગ્રહની નજર છે.’

‘એટલે શું ?’

‘એટલે એમ કે તિલ્લુનો એક વિવાહ થશે, એ તૂટી જશે,