આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘હું વરી ચૂક્યો છું.’
૧૫૭
 


લેડી જકલને નવાઈ લાગી. આ પાશેર હાડકાંવાળો નર્તક પણ નાચીને ધાબો ઢીલો કરી નાખે તે એ કેટલુંક નાચતો હશે એની તેઓ કલ્પના કરી રહ્યાં.

એ ઢીલા ધાબાવાળા મકાનની નજીક પહોંચતાં તો સર ભગનને નાકે દુર્ગંધનો દમ આવી ગયો. અરરર ! એ કલાકાર આવી જગ્યામાં કેમ કરીને જીવી શકતો હશે ? પણ તરત એમને કુટુંબના કલાશિક્ષકે જ કહેલી વાત યાદ આવી ગઈ, કે કલા તો આવા વાતાવરણમાં જ પાંગરી શકે. કમળ તો કાદવમાં જ ઉગી શકે.

માંડ કરીને પતિ–પત્ની ઢીલા ધાબાવાળા મેડા ઉપર પહોંચી શક્યાં. ઉપર ગયા પછી એમને પ્રત્યક્ષ ખાતરી થઈ કે કંદર્પકુમારે કથકલી શૈલીએ કૂદકા મારીમારીને આ ખડખડ પાંચમ મેડાને વધારે ખોખરો કરી નાખ્યો હતો.

મેડાને એક ખૂણે તૂટીફટી ખાટ ઉપર કંદર્પકુમાર પડ્યો હતો; સાવ હતાશ ને હારી ગયેલો. પોતાનાં સંભવિત સાસુસસરાને માનભેર આવકાર આપવાને બદલે એણે તો એમને ઊધડાં જ લઈ નાખ્યાં.

‘શા માટે અહીં આવ્યાં છો ?’

‘તમારાં દર્શન કરવા.’

‘દર્શન દેવોનાં કરાય, મારાં નહિ.’

‘તમે પણ અમારી દીકરી માટે દેવતુલ્ય જ છો ને ?’

‘એક સમયે હતો, હવે નહિ.’

‘કેમ ?’

‘કારણ તો તમે જ મારા કરતાં વધારે જાણો છો.’

‘શું ?’

‘તિલ્લુએ મને તિલાંજલિ આપી છે. મારો વિશ્વાસઘાત કર્યો છે.’

‘એ તો બાળક છે, બાળકબુદ્ધિમાં કશું કાંઈ બોલીછાલી ગઈ હોય તો એના વતી અમે માફી માગીએ છીએ.’