આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘હું વરી ચૂક્યો છું’
૧૫૯
 


‘તમે કયા નાટકની વાત કરો છો ?’

‘ઇન્દ્રવિજય.’

‘ઇન્દ્રવિજય ?’

‘હા. એ ડાન્સ-બેલેનું દિગ્દર્શન તમે કરો છો કે તિલ્લી ?’

‘તિલ્લી જ.’

‘તો પછી કયા અધિકારે તમે મારી માગણી પૂરી કરવા અહીં આવ્યાં છો ?’

હવે જ સર ભગનને સમજાયું કે આમાં કશુંક આંધળે બહેરું કુટાઈ રહ્યું છે તેથી જ એમણે પૂછ્યું.

‘આપની માગણી શી છે એ કહો તો કાંઈક સમજ પડે, ને એનો ઉપાય પણ શોધી શકું.’

લેડી જકલે પણ ભાવિ જમાઈને આગ્રહ કર્યો.

‘તમને રાજી કરવા તો અમે તમારું ઘર શોધતાં અહીં સુધી આવ્યાં છીએ. તમારી માગણી શી છે એ કહો તો અમે એ પૂરી કરીએ.’

‘મારી માગણી એક જ છે.’

‘બોલો, બોલો, કંદર્પકુમાર !’

‘કાર્તિકેયની ભૂમિકા મને પાછી મળવી જ જોઈએ.’

‘કયો કાર્તિકેય ?’ સર ભગને પૂછ્યું. એમને થયું કે તિલ્લુના બહોળા મિત્રવર્તુળમાંના કોઈક યુવાનની વાત થઈ રહી છે.

‘કયો કાર્તિકેય ?’ એ પ્રશ્ન પૂછીને સર ભગન બાઘામંડળની પેઠે તાકી રહ્યા ત્યારે લેડી જકલ એમની વહારે આવ્યાં. તિલ્લુને મોઢેથી એમણે કાર્તિકેય શબ્દ બેચાર વાર સાંભળેલો. ખીમચંદના સૌન્દર્યની સરખામણીમાં એણે વારેવારે કાર્તિકેયનો ઉલ્લેખ કરેલો. તેથી એમને એ નામ જરાજરા પરિચિત તો હતું જ, તેથી એમણે પતિની બાઘાઈ દૂર કરવા કહ્યું, ‘એ કંઈ સાચા કાર્તિકેયની વાત નથી કરતા.’