‘ચોગમ પથરાયેલા અંધારપટમાં તિલ્લુના રિહર્સલરૂમનો એ દીવો સર ભગનને આશાકિરણ જેવો લાગ્યો ખરો. પણ એક ક્ષણ પૂરતો જ, બીજી જ ક્ષણે એ આશાકિરણ જાણે કે બુઝાઈ ગયું અને કોઈક ભયની લાગણી સંચારિત થઈ રહી. આવી આસમાની સુલતાની આફત વચ્ચે મારી એ એકલી–અટૂલી દીકરી શું કરતી હશે ? આ હાલાકીમાં એના શા હાલ થયા હશે ?
‘તિલ્લુ ! તિલ્લુ !’ નાનું બાળક પોતાનાં માતાપિતાને પોકારે એવી અસહાયતાથી સર ભગન પોકારે પાડી રહ્યા.
શ્રીભવનના પ્રાંગણમાં અત્યારે અનેકવિધ પોકારો ઊઠી રહ્યા હતા. અહીં ઉમટેલી માનમેદનીમાં અનેક યુગલ વિભક્ત થઈ ગયાં હતાં. સંખ્યાબંધ પત્નીઓ એમના પતિદેવોથી જુદી પડી ગઈ હતી. પુત્ર-પુત્રીઓ એમનાં માબાપથી વિખૂટાં થઈ ગયાં હતાં. આ સહુ લોકો પોતપોતાનાં આપ્તજનો માટે પોકાર પાડી જ રહ્યાં હતાં. એ બૂમાબૂમમાં વળી કચડાતા–પિટાતાં માણસોની ચીસાચીસો ઉમેરાતી હતી. પરિણામે આ સામટા કોલાહલમાં સર ભગનની બૂમ દટાઈ જતી હતી. તેથી તે તેઓ બમણા આવેશથી બૂમ પાડી રહ્યા હતા.
‘તિલ્લુ ! તિલ્લુ’
જે યજ્ઞવેદી પરથી થોડી વાર પહેલાં ‘ઓમ્ સ્વાહા ! ઓમ્ સ્વાહા !’ના શબ્દોચાર ગુંજી રહ્યા હતા ત્યાં હવે ‘તિલ્લુ ! તિલ્લુ !’ એવા આર્તનાદ ઊઠી રહ્યા.
‘બૂમો ન પાડો,’ લેડી જકલે કહ્યું. ‘ચાલો, આપણે જ તિલ્લુ પાસે પહોંચી જઈએ.’