આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ગ્રહાષ્ટક વત્તા એક
 


ઊભી થઈ.’

‘આ રામાયણ પેલા ગધેડા ગિરજાએ જ ઊભી કરાવી. એ હરામખોર મારા હાથમાં આવે તો એની ગળચી જ પીસી નાખીશ.’

‘ના, ના, જોજો આવું કાંઈ કરી બેસતા. આટલી બધી હત્યા ઉપર વધારાની એક બ્રહ્મહત્યા ચડશે.’

‘પણ હું તો આ મુડદાં ખૂંદીખૂંદીને વાજ આવી ગયો.’

‘હવે બહુ નહિ ખૂદવાં પડે. આપણે પોર્ચ પાસે આવી ગયાં છીએ.’ લેડી જકલે કહ્યું.

મોટી મેરેથોન રેઈસ પૂરી કરીને આવ્યાં હોય એમ પતિપત્ની પૉર્ચ નજીક પહોંચતાં હાંફી રહ્યાં હતાં. પણ અત્યારે શ્વાસ હેઠો મૂકવા જેટલો એમને સમય નહોતો. પુત્રીને મળવા અદ્ધર શ્વાસે જ તેઓ સીડી ચડી રહ્યાં, કેમકે વીજળી બંધ થતાં બંગલાનાં બધાં જ એલેવેટરો ખોટકાઈ ગયાં હતાં.

પગથિયાં ચડતાં એમણે રિહર્સલરૂમમાંથી વિચિત્ર અવાજ સાંભળ્યો, નૃત્યના તોડા કે મૃદંગની થાપીને બદલે મંત્રોચ્ચાર જેવો અવાજ આવતાં પતિપત્ની વિચારમાં પડી ગયાં.

‘આ તે શું ? અહીં પણ મંત્રો !’ યજ્ઞવેદી ઉપર ક્યારના મંત્રો સાંભળી સાંભળીને ત્રાસી ગયેલાં દંપતીને અહીં પણ એવો જ અવાજ જણાતાં કંટાળો આવ્યો.

પણ બીજી જ ક્ષણે સર ભગનને વહેમ આવ્યો. અહીં રિહર્સલરૂમમાં વળી મંત્રો શાના ? નૃત્યનાટકના રિહર્સલમાં વળી સપ્તપદી જેવો શબ્દોચ્ચાર ક્યાંથી ઊઠ્યો ? એમણે લેડી જકલને પૂછ્યું :

‘આ ઇન્દ્રવિજય નાટકમાં પરણવાનો સીન-બીન આવે છે ખરો ?’

‘આ તો લડાઈનું નાટક છે. ઈન્દ્રનો સેનાપતિ ખડ્‌ગ વીંઝ્યા કરે છે.’

‘તો પછી એમાં આવા સંસ્કૃતના શ્લોકો ક્યાંથી આવ્યા ?’